કચ્છ: જિલ્લામાં પાણીની અછત વચ્ચે આજથી 5 દિવસ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ઢાકી પમ્પીંગ સ્ટેશન નજીક સમારકામ હાથ ધરાતા પાણીનો પૂરતો જથ્થો લોકોને નહી મળી શકે.
લોકલ સોર્સના આધારે કચ્છને પાણી વિતરણ કરવામાં આવશે. પશ્વિમ કચ્છમાં પાણીકાપની વધુ અસર થશે.ટપ્પર ડેમમાંથી 100 MLD પાણીનું વિતરણ થાય છે. દૈનિક 280 MLD પાણી સામે નર્મદાનું માત્ર 100 MLD પાણી મળશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે કચ્છના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત જોવા મળી રહી છે.
પાણીની આ સમસ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સૂચના આપી હતી. જેને લઈને ટપ્પર ડેમને 500 મિલિયન કયુબેક ફીટ પાણીથી ભરી દેવામાં આવ્યું હતું.
પરંતુ તેમ છતાં પાણીની સમસ્યાનો સામનો કચ્છની પ્રજાનો કરવો પડ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આગામી 5 દિવસ સુધી પાણીકાપ મુકવાની જાહેરાત કરતા નગરજનોની હાલત કફોડી બની હતી. આ સાથે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ ચોક્કસ પગલા લઇને કચ્છ જિલ્લાની પાણીની સમસ્યા સત્વરે દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
આપને જણાવી દઇએ કે સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ ખરાબ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદામાં પણ પાણીની અછત વર્તાઇ રહી છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડતા ગુજરાતના સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવેલ પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે પાણી છોડવાનું બંધ થતાં ફરીવાર સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો હતો.