રાજ્યમાં હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા અને ભરૂચમાં રેડ અલર્ટ અપાયું છે તેમજ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પંજાબથી NDRFની 5 ટીમો વડોદરા પહોંચી છે. ત્યાંથી ટીમોને તાપી ભરૂચ સુરત નવસારી અને વડોદરામાં ડીપ્લોય કરી દેવામાં આવી છે. પ્રભારી મંત્રીઓને જિલ્લામાં જવાની સરકારે સુચના આપતા તમામ મંત્રીઓ તાબડતોબના ધોરણે અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચી ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. તેમાં પણ ડેડીયાપાડામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે તો ઉમરપાડામાં 14 ઈંચ, તિલકવાડામાં 11 ઈંચ વરસાદ નાંદોદમાં 10.5 ઈંચ, સુબીરમાં 10 ઈંચ, કપરાડામાં 9 ઈંચ, સાગબારામાં 8.5 ઈંચ, ડાંગના આહ્વામાં 8.15 ઈંચ વરસાદ વરસ્યો છે.
10 હજારથી વધુ લોકોનું રેકસ્યુ કરાયું
સોમવારે મોડી સાંજે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે બચાવાયેલા લોકો માંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે. બપોર બાદ વરસાદમાં ઘટાડો થયો છે.'
જિલ્લો
સ્થળાંતર
છોટા ઉદેપુર
5278
નવસારી
2902
પોરબંદર
801
આણંદ
630
વલસાડ
469
તાપી
235
દેવભૂમિ દ્વારકા
120
કચ્છ
130
નર્મદા
85
વડોદરા
24
રાજ્યમાં વરસાદથી 63 લોકોના મોત
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનોને સંપૂર્ણ નુકશાન પહોચ્યુ છે. 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 272 પશુઓના વરસાદથી મૃત્યુ થયા છે. તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોના મૃત્યુ તેમજ વીજપોલ પડી જતા એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 468 નાગરિકો ઘરે પરત ફર્યા છે.
નવસારીમાં મંગળવારે રજા જાહેર
નવસારીના તમામ તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે આજે મંગળવારે તમામ શાળાઓમા રજા જાહેર કરાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે નિર્ણય લીધો છે. અંબિકા નદી બે કાંઠે વહેતા કલેક્ટર અને DDOએ જાત મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડે : હવામાન વિભાગ
રાજ્યમાં વરસાદને લઈને આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે મુજબ આગાહીમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ ( 15 જુલાઇ સુધી) વરસાદની સ્થિતિ સાર્વત્રિક રીતે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદમાં આંશિક રાહત મળશે તેવા વરતારા પણ થયા છે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં 11 જુલાઇ સુધી સિઝનનો સરેરાશ 41% વરસાદ નોંધાયો છે.