રક્ષાબંધન અને હર ઘર તિરંગા અભિયાનના કારણે 'એક રાખી સૈનિકો કે નામ'ના લક્ષ્ય સાથે સુરતની 5 દીકરીઓ નડાબેટ જવા રવાના.
સુરતથી 5 યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા રવાના
સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને કચ્છના નડાબેટ પહોંચશે
'હર ઘર તિરંગા'ના ભાગરૂપે ગામોમાં તિરંગાનું પણ વિતરણ કરશે
દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં 75મો 'આઝાદી કા અમૃત મહોત્સવ' ચાલી રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે દરેક ઘર પર તિરંગો લહેરાય તે પ્રકારના પણ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. સાથે રક્ષાબંધન નજીક આવી રહી છે ત્યારે દર વર્ષે દેશની દીકરીઓ દેશના જવાનોની રક્ષા માટે રાખડી મોકલતી હોય છે. ત્યારે આ વખતે સુરતથી 5 યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા નીકળી છે.
'એક રાખી સૈનિકો કે નામ'ના ઉદ્દેશ્ય સાથે સુરતથી 5 યુવતીઓ નડાબેટ જવા માટે નીકળી છે. જે નડાબેટ જઇને દેશના જવાનોને રાખડી બાંધશે. જણાવી દઇએ કે, સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને આ યુવતીઓ કચ્છના નડાબેટ ખાતે પહોંચશે. સાથે રસ્તામાં આવતા ગામો અને શહેરોમાં 'હર ઘર તિરંગા'ના ભાગરૂપે તિરંગાનું પણ વિતરણ કરશે.
'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત નડાબેટ ખાતે ભારતીય સૈન્યના હાથમાં દેખાયો તિરંગો
ઉલ્લેખનીય છે કે, દેશના 75માં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશભરમાં આગામી તા. 13થી 15 ઓગષ્ટ સુધી 'હરઘર તિરંગા અભિયાન' શરૂ કરાયું છે. જેને સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. થોડાંક દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં પણ 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત લોકોમાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિ જોવા મળી હતી. ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ તરીકે ઓળખાતા નડાબેટ ખાતે પણ 'હર ઘર તિરંગા અભિયાન'ની ઉજવણીનો સારો એવો માહોલ જોવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર પર દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ભારતીય સૈન્યના હાથમાં લહેરાતો જોવા મળી રહ્યો છે.