મુલાકાત પછી ચૌટાલાએ કહ્યું કે મને આશા છે કે સરકાર અને ખેડૂતોની વચ્ચેના મુદ્દાઓ અરસપરસની સમજૂતીથી ઉકેલવામાં આવશે.
24 થી 48 કલાકમાં નિર્ણાયક સ્તરની વાતચીત થઇ જશે
ANI સાથે વાત કરતી વખતે ચૌટાલાએ કહ્યું કે જે રીતે કેન્દ્ર સરકાર વાતચીત કરે છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પણ આ મુદ્દે સમાધાન પર આવવા માંગે છે. મને લાગે છે કે આગામી 24 થી 48 કલાકમાં નિર્ણાયક સ્તરની વાતચીત થઇ જશે અને પરિણામ સામે આવી જશે.
ખેડૂતોનું પ્રતિનિધત્વ કરવું એ મારી ફરજ: ચૌટાલા
ચૌટાલાએ કહ્યું કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે તેમના હકોનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે મેં આ મુદ્દે વિચાર વિમર્શ કર્યો છે. કેન્દ્રનું વલણ સકારાત્મક છે.
આંદોલનમાં કોઈ ખાલિસ્તાની કે નક્સલી તત્વો મળ્યા નથી: ચૌટાલાએ સ્વીકાર્યું
ચૌટાલાએ કહ્યું કે હરિયાણા અને પંજાબથી આવેલા લોકોનો વ્યવહાર સકારાત્મક છે અને આશા છે કે એવો જ રહેશે. એવા કોઈ અસામાજિક તત્વો આંદોલનમાં મળ્યા નથી.
નોંધનીય છે કે હરિયાણા અને પંજાબમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે મનોહર લાલ ખટ્ટર સરકાર ઉપર ખૂબ દબાણ છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે જો ખેડૂતોનો મુદ્દો નહીં ઉકેલાય તો તેઓ હરિયાણા સરકારથી અલગ પડી શકે છે.
ભાજપ માટે આગામી 48 કલાક ભારે
નોંધનીય છે કે 14 તારીખે ખેડૂતો ભૂખ હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. રાજસ્થાનની સરહદથી પણ કાલે ટ્રેકટર માર્ચ નીકળવાનું એલાન છે. આ ટ્રેકટરો જયપુર દિલ્હીના રસ્તાઓ બ્લોક કરવા જઈ રહ્યા છે. આ પગલા પરથી એમ ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત ચૌટાલા સહિતના પક્ષના પોતાના જ નેતાઓ સરકારને ખેડૂતોની માંગ સ્વીકારવા માટે પરોક્ષ રીતે દબાણ કરી રહ્યા છે. એવા સમયમાં ભાજપ માટે આગામી 48 કલાક ખૂબ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે.