રાજકોટના નવાગામમાં આવેલા સ્વસ્તિક એગ્રી સાયન્સમાંથી રજિસ્ટ્રેશન વગર વેચાણ થતી ખેતી ઉપયોગી દવાઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય આ કેસ બની ગયો છે. એગ્રિકલ્ચર ઓફિસરને સાથે રાખી કુવાડવા પોલીસે કારખાનામાં રેડ કરી હતી જેમાં રૂ.15 લાખની કીંમતની દવાનો જથ્થો ઝડપાયો હતો.
4549 પેસ્ટિસાઈડ દવાની બોટલો જપ્ત
આ કેસની વધુ માહિતી પર નજર કરીએ તો નવાગામના દિવેલીયા બાલાજી પાર્કમાં સ્વસ્તિક એગ્રી સાયન્સ નામનું કારખાનું આવેલું છે, જેમાં દરોડો કરવામાં આવતા અલગ-અલગ બ્રાન્ડની 4549 પેસ્ટિસાઈડ દવાની બોટલ જે ખેડૂતોને ખેત ઉપયોગી છે તે રજિસ્ટ્રેશન વગર જ મળી આવી હતી. જેમાં રેડલાઈન, તિરંગા, કોલઆઉટ કંપની દવાઓ હતી.
કારખાનાના મેનેજર મહેશ ટારીયાની કરવામાં આવી અટકાયત
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી 15 લાખની આ દવા ક્યાંથી આવી અને કોણ કોણ આ કાળા કારોબારમાં સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્વસ્તિક એગ્રીના મેનેજર મહેશ ઉર્ફે રાહુલ થોભણ ટારીયાની ધરપકડ વધુ પૂછપરછ કરાઇ રહી છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્યાં ક્યાં જિલ્લા અને ગામોમાં આ દવાનો જથ્થો મોકલાયો છે તેનો ખુલાસો થઈ શકે છે. કારખાનાના મેનેજર મહેશ ટારીયાની કરવામાં આવી અટકાયત
VTV ગુજરાતીના સળગતા સવાલ
શુ આ દવામાં હાનિકારક તત્વોનુ પ્રમાણ વધુ હોવાથી રજિસ્ટ્રેશન નહોતુ કરાવ્યુ ?
આર્થિક લાભ માટે અનરજિસ્ટર્ડ પેસ્ટિસાઈડનો જથ્થાનુ થતુ હતુ વેચાણ?
જો આ દવા ખેડૂત ઉપયોગ કરે તો પાકને નુકસાન ન પહોંચે ?
આ દવાની ઝેરી અસરથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ ન થાય ?
વેપારી પાસે રજિસ્ટ્રેશન વગરનો દવાનો જથ્થો આવ્યો ક્યાંથી ?
શુ પોલીસ માત્ર વેપારી સામે કાર્યવાહી કરી સંતોષ માની લેશે ?
વેપારીએ જે સિન્ડીકેટ પાસેથી આ દવા ખરીદી તેની વિરૂદ્ધ કાર્યવાહી થશે ?