જર્જરિત પૂલ તૂટી ગયાના આ દ્રશ્યો માત્ર અકસ્માતને જ નથી દર્શાવી રહ્યા. આ દ્રશ્યો માર્ગઅને મકાન વિભાગના દુર્લક્ષ્યને પણ છતા કરી રહ્યા છે. 45 વર્ષ જૂના પુલ પરથી વર્ષોથી હેવી વાહનો પસાર થતા રહ્યા અને મોરબી અને જામનગર જિલ્લાનું ઈજનેર ખાતું કોઈ અકસ્માતની રાહ જોતું રહ્યું. આખરે તે સમય આવી ગયો.
આજે વહેલી સવારે મોરબીને જામનગર કચ્છ સાથે જોડતા હાઈવે પર આમરણ અને ખારચિયા વચ્ચે આવેલો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો. આજે વહેલી સવારે પુલ વચ્ચેથી બેસી ગયો હતો અને પુલ લગભગ બે ટુકડામાં વિભાજિત થઈ ગયો. પુલ ધરાશાયી થતાં સતત ધમધમતો આ હાઈવે પરનો વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયો.
આ પુલ ઘણા સમયથી જોખમી બની ગયો હતો. છતાં વાહન વ્યવહાર ચાલતો હતો. જવાબદાર તંત્રને પણ અનેક વખત રજુઆત કરી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આજે જ્યારે પુલ તૂટયો તો અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. પણ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. અત્યાર સુધી જર્જરિત પુલ તરફ દુર્લક્ષ સેવીને બેઠેલું તંત્ર હવે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની વાત કરી રહ્યું છે. નવો પુલ બનાવાના આટલા ઉત્સાહનું કારણ બધા જાણે છે. કેમ કે, માલ ખાવાની તક ઊભી થઈ છે. જો આટલો ઉત્સાહ આ પુલની જાળવણી કરવામાં દાખવાયો હોત તો પુલની આવરદા વધી ગઈ હોત. પણ તંત્ર પાસે તેનો સમય નથી.
રાજ્યમાં આવા અનેક પુલ છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને મોટી જાનહાનિ સર્જી શકે તેવી શક્યતા છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્ટિટ્યુટ એટલે કે સીઆરઆરઆઈ દ્વારા વર્ષ ર018 માં 17 રાજ્યોના 425 પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે પૈકી 281 પુલોની ગુણવત્તા નબળી જણાઈ હતી.આ રિપોર્ટ મુજબ આ નિરીક્ષણ દરમિયાન સૌથી વધુ 75 ટકા પુલો ગુજરાતમાં છે. ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ રાજ્યમાં રોડ અને પુલના નિર્માણનું રૂડું- રૂપાળું ચિત્ર રજૂ કરતો રહે છે, પરંતુ આ આંકડાઓ 'વિકાસશીલ' ગુજરાતના દાવાઓની પોલ ખોલી રહ્યા છે.
સદનસીબે આ અકસ્માત સમયે ત્યાંથી કોઈ વાહન પસાર નહોતું થતું. જેના કારણે કોઈ જાનહાની થઇ નથી. પરંતુ આ ઘટનામાં ક્યાકને ક્યાંક તંત્રની લાપરવાહી સામે આવી છે. આશા રાખીએ નવો પુલ બને ત્યાં સુધી નાગરિકો માટે વૈકલ્પિક વ્યસ્થા ઊભી થાય અને સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓનો સંપર્ક સેતુ જળવાઈ રહે.