ધનતેરસે દેશવાસીઓએ 25,000 કરોડનું સોનું અને દાગીનાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે.
દિવાળીના તહેવારોમાં દેશમાં 45 હજારનો સામાન વેચાયો
25 હજાર કરોડ તો ખાલી સોના પાછળ ખર્ચ્યાં લોકોએ
દિવાળીએ 1.50 લાખ કરોડનો કારોબાર થવાનું અનુમાન
ઘરેલું સામાનથી માંડીને સોનાના દાગીના ખરીદાયા
આ દિવાળીએ મોંઘવારી છૂમંતર થઈ હોવાનું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે- ત્રણ દિવસમાં લોકો જે પ્રકારે ઘરેલું ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે તેનો આંકડો ચોંકાવનારો છે. પંચાગ પ્રમાણે આ વર્ષે દેશભરમાં બે વાર ધનતેરસની ઉજવણી કરાઈ છે. કોરોનાના પ્રતિબંધ હટ્યા બાદ આ વર્ષે લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી અને ખાલી સોના અને દાગીના પાછળ લોકોએ 25,000 કરોડ ખર્ચી નાખ્યાં હતા. દિવાળીની ખરીદીનો કુલ આંકડો 1.50 લાખ કરોડને પાર પહોંચવાનું અનુમાન નિષ્ણાંતોએ વ્યક્ત કર્યું છે.
કઈ વસ્તુઓ પર કેટલો ખર્ચ કરાયો
ધનતેરસની ખરીદી શુભ મનાતી હોવાથી આ દિવસે લોકો નાની મોટી વસ્તુઓ ખરીદવામાં પાછીપાની કરતા નથી. દેશભરમાં જ્વેલરી ઉપરાંત અન્ય સેગ્મેન્ટમાં પણ ગ્રાહકોએ જોરદાર ખરીદી કરી છે. લોકોએ સોનાના ઘરેણા પાછળ 25 હજાર કરોડ ખર્ચી નાખ્યાં છે. જ્યારે ઓટોમોબાઇલ, કમ્યુટર અને કમ્પ્યુટરને લગતી વસ્તુઓ, ફર્નિચર, ઘર અને ઓફિસ ડેકોરેશન માટે જરૂરી વસ્તુઓ, મીઠાઈ અને નમકીન, રસોડાની વસ્તુઓ, તમામ પ્રકારના વાસણો, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ અને તેને લગતી વસ્તુઓ લગભગ 20 કરોડ રૂપિયામાં વેચાઇ છે.
કોરોનાના પ્રતિબંધો હટતાં લોકો મન મૂકીને ખરીદી કરવા લાગ્યાં
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગઇ કાલે અને આજે બે દિવસમાં દેશભરના બજારોમાં ગ્રાહકોની ભીડ જામી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સામાન ખરીદવાની ઉત્સુકતાનું આકલન એ વાતની પુષ્ટિ કરે છે કે કોરોનાને કારણે બે વર્ષ સુધી બજારથી દૂર રહેલા ગ્રાહકો હવે પુરજોશમાં બજારમાં પાછા આવી ગયા છે.
દિવાળી ખરીદીનો આંકડો પહોંચશે 1.50 લાખ કરોડને પાર
સીએઆઇટીએ દેશભરમાં દિવાળીના અવસરે જોરદાર ખરીદીની આગાહી કરી છે. સીએઆઈટીના અંદાજ મુજબ આ વર્ષે દિવાળી પર વેચાણનો આંકડો 1.50 લાખ કરોડને પાર કરી જશે.