ગુજરાતમાં કોરોના દિવસે ડબલ અને રાત્રે ચાર ગણી કહેવતની જેમ આગળ વધી રહ્યો છે . ડોકટરો. પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઑ, નેતાઓ, ગુજરાતી કલાકારો બાદ હવે કોરોનાએ ખતરનાક રીતે હાઈકોર્ટમાં દસ્તક આપી છે. હાઈકોર્ટના 45 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહત્વનું છે કે ગુરુવારે HCમાં પ્રવેશ સમયે કોરોના રિપોર્ટ માટે ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે બાદ આજે આવેલા RT-PCR રિપોર્ટમાં 45 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે પણ લીધો મહત્વનો નિર્ણય
રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.વકીલોએ પણ અરજીની કોપી બહાર ટેબલ પર જ મુકવાની રહેશે.તથા આગામી બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવશે.
શનિવારથી નવી કોરોના ગાઈડલાઇન લાગુ
ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 8 મહાનગર અને 2 શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે. જ્યારે અન્ય ઉપરોક્ત નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
ગુજરાતમાં શુક્રવારે નવા 5396 કોરોનાના કેસ બહાર આવ્યા
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં નવા 5396 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1158 દર્દી સાજા થયા છે અને 1 દર્દીનું મોત થયું છે. હાલ 18583 એક્ટિવ કેસ છે. 96.62 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. 9 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં 1452, રાજકોટમાં 272, વડોદરામાં 281, ગાંધીનગરમાં 132, જામનગરમાં 90, જૂનાગઢમાં 21, ભાવનગરમાં 63, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, કચ્છમાં 92, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, મોરબીમાં 34, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, અરવલ્લીમાં 11, દ્વારકામાં 10, મહીસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, તાપીમાં 6, નર્મદામાં 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.