દેશમાં ફરી કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં રોજના 1 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યાં છે.
ગૌતમબુદ્ધ નગરમાં 15 વિદ્યાર્થીઓ સહિત 44 લોકો કોરોના પોઝિટિવ
દેશમાં કોરોના પોઝિટિવ રેટ વધીને 0.23 થઈ ગયો છે
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1007 નવા કેસ નોંધાયા
દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ યુપીના ગૌતમબુદ્ધ નગરમાં 15 વિદ્યાર્થીઓ સહિત 44 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જે સૌથી વધારે ચિંતાજનક બાબત છે. દેશમાં એક વાર ફરી કોરોનાના કેસોએ લોકોમાં ટેન્શન વધાર્યું છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1007 નવા કેસ સામે આવ્યાં છે. નવા કેસ નોંધાતા દેશમાં કોરોના પોઝિટિવિટી રેટ વધીને 0.23 થઈ ગયો છે. આ સાથે જ કોરોના સંક્રમિત પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 11,058 થઈ ગઈ છે.
UPના ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લાં 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ સહિત 44 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના સંક્રમિત થયાના સમાચારથી શાળાઓમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો છે. ખૂબ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ શાળા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે.
COVID-19 | India reports 1,007 fresh cases and 818 recoveries, in the last 24 hours. Active cases 11,058
દેશમાં છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના કારણે 26 દર્દીઓના મોત
મોતના આંકડાની જો વાત કરીએ તો, દેશમાં છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના કારણે 26 દર્દીઓના મોત થયા છે. આ આંકડાઓ બાદ ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 5,21,736 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે, છેલ્લાં 24 કલાકમાં 818 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
એક દિવસ પહેલાં બુધવારે (13 એપ્રિલ) ના રોજ સમગ્ર દેશમાં કોરોનાના નવા 1,088 કેસ નોંધાયા હતા. આ આંકડો 12 એપ્રિલની સરખામણીએ 36.6 ટકા વધુ હતો. અગાઉ મંગળવારે 796 કેસ નોંધાયા હતા. બુધવારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો હતો. બુધવારે, દૈનિક પોઝિટિવિટી રેટ 0.25% પર હતો, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.24% પર હતો.
NCRમાં બાળકો કોરોનાની ઝપેટમાં
દિલ્હી સાથે NCR માં પણ કોરોનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. નોંધનીય છે કે નોઈડા, ગાઝિયાબાદમાં મોટા ભાગના બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં ગૌતમબુદ્ધ નગરમાં 15 વિદ્યાર્થીઓ સહિત 44 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
નવા કેસ નોંધાયા બાદ ગૌતમબુદ્ધ નગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 98787 એ પહોંચી ગઈ છે. આ દરમિયાન 490 દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.
છેલ્લાં 24 કલાકમાં 15 લાખ લોકોએ રસીકરણ કરાવ્યું
છેલ્લાં 24 કલાકમાં કુલ 15,05,332 રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,86,07,06,499 રસીકરણ કરવામાં આવ્યાં. તો છેલ્લાં 24 કલાકમાં 4,29,323 કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં. અત્યાર સુધીમાં દેશભરમાં 79.49 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં.