બનાસકાંઠા 701 કર્મચારીઓ સામે ફરિયાદ : નેશનલ હેલ્થ કમિશનની કાર્યવાહી
કામથી અળગા રહેવા પર સરકારનો આદેશ
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વોરિયર્સ નારાજ થયા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે ત્યારે આ દાહોદમાં હવે ધડાધડ 433 કર્મીઓના રાજીનામાં પડતાં ચકચાર મચી છે. જોકે કર્મચારીઓ સામે સરકારની લાલ આંખ હજુ પણ દેખાઈ રહી છે. એક તરફ જ્યાં દાહોદમાં કર્મીઓ રાજીનામાં આપી રહ્યા છે ત્યાં બીજી તરફ બનાસકાંઠામાં હડતાળની ચીમકી ઉચ્ચારવા બદલ 700થી વધારે કર્મીઓ સામે કાર્યવાહી આદેશ આપવામાં આવ્યા છે.
દાહોદમાં કોરોના મહામારીમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે કારણ કે દાહોદમાં ડૉકટર સહિત 433 આરોગ્ય કર્મીઓએ રાજીનામાં આપી દીધા છે. આ તમામ કર્મચારીઓ સમાન કામ સમાન વેતનની માગ કરી રહ્યા હતા. જેને લઈને તેઓ આંદોલન કરી રહ્યા હતા જેમાં RBSK તબીબો સહિતના કર્મીઓ આંદોલનમાં જોડાયા હતા. વિરોધ કરતા કર્મચારીઓને સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના રાજીનામા મંજૂર કરી લેવામાં આવ્યા છે.આ કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરી લેવાતા PHC, CHC પરની સેવાઓ બાધિત થવાનો ભય છે જે આ કોરોનાકાળમાં ખરેખર ચિંતાજનક છે.
બનાસકાંઠામાં 701 જેટલા કર્મચારીઓ સામે ફરિયાદ નોધાશે
એક તરફ જ્યાં દાહોદમાં સરકારની કામગીરીથી નારાજ કોરોના વાયરસના ફ્રન્ટલાઇન વર્કર્સ રાજીનામાં આપી રહ્યા છે ત્યાં બનાસકાંઠામાં આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી હતી તથા કામથી અળગા રહેવાના કારણે સરકાર દ્વારા આ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
એપેડમિક એક્ટ હેઠળ નોધાઇ શકે છે પોલીસ ફરિયાદ
બનાસકાંઠાના આયુષ ડૉક્ટર સહિત 701 જેટલા કર્મચારીઓ સામે એપેડએમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ નેશનલ હેલ્થ કમિશન આ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે.