જૂની પેંશન યોજના મળવા પાત્ર છે તો આપવામાં વાંધો શું છે? શું શિક્ષકોના પ્રશ્નોને કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ છે?
સરકાર સામે મેદાને શિક્ષકો
મનપામાં 4200 ગ્રેડ પે ન અપાતા શિક્ષકો કરશે પ્રદર્શન
3 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમો
કોઇ પણ દેશના સર્વાંગિ વિકાસમાં શિક્ષણ ખુબ અગત્યનો ભાગ છે. તેથી જ સમાજમાં શિક્ષકનો દરજ્જો ખુબ માનસભર અપાયેલો છે. ચાણક્યએ શિક્ષક માટે કહ્યું છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઉછરે છે. શિક્ષકની કેળવણીથી જ કોઇ ડોક્ટર,એન્જીનિયર,વૈજ્ઞાનિક બની શકે છે. કેળવણી અને માર્ગદર્શનના અભાવે વ્યક્તિ ગુનાહિત કૃત્યોને અંજામ આપનારું વ્યક્તિત્વ અપનાવી લેતો હોય છે. પરંતુ સમર્થ શિક્ષકો જ આજે કેટલીક નીતિઓને કારણે પરેશાન છે હેરાન છે. શિક્ષકો સરકાર સામે તેમના હક અને ફરજ માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
ત્યારે હવે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મનપાની સ્કૂલોમાં શિક્ષકોની પડતર માંગને લઈને વિવિધ કાર્યક્રમો યોજશે. જેમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા તેમજ 4200 ગ્રેડ પે મુખ્ય માંગો હશે.
3 સપ્ટેમ્બરે તમામ જિલ્લામાં શિક્ષકો આવેદનો આપશે
11 સપ્ટેમ્બરે રેલી કરીને કલેક્ટર કચેરીએ પહોંચશે
17 સપ્ટેમ્બરથી શિક્ષકની માસ CL પર ઊતરવાની ચિમકી
22 સપ્ટેમ્બરથી રાજ્યના શિક્ષકો દ્વારા પેન ડાઉન કાર્યક્રમ
30 સપ્ટેમ્બરથી રાજ્યમાં અચોક્ક્સ મુદ્દતની કરશે હડતાળ
મહત્વનું છે કે ગત મે મહિનામાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના વર્ષોથી પડતર એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.જેમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ તેમજ અન્ય લાભો આપવાનો અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો હતો. 2 જુલાઈ 1999થી સેવામાં જોડાયેલા અને મે મહિના સુધી નિમણૂક પામેલા તમામ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકો મળી આશરે 39 હજાર જેટલા કર્મચારીઓને તેનો લાભ મળશે તેવી જાહેરાત કરવામા આવી હતી. પણ આ જાહેરાતનો લાભ મનપાના શિક્ષકોને લાગુ પડતો ન હતો જેથી હવે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ આગામી દિવસોમાં મનપાની સ્કૂલોના શિક્ષકો રસ્તા પર ઉતરશે.