42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા બંધ કરાવવા માટે પહેલ કરી છે. 28 મેના રોજ પાટણમાં સભા યોજી બિનજરૂરી પ્રથાઓ બંધ માટે 42 લેઉવા પાટીદાર સમાજની અંદાજે 3 હજાર બહેનો શપથ લેશે.
42 લેઉવા પાટીદાર સમાજની બહેનોનો નિર્ણય
બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરવા બહેનોની પહેલ
પ્રિ-વેડિંગ શૂટ સાથે અનેક પ્રથા બંધ
પરિવર્તન સંસારનો નિયમ છે એવો ભગવદ ગીતાનો સાર છે, આ સારને વ્યક્તિ કે સમાજ જેટલો જલ્દી સમજે એ તેના જ હિતમાં છે. ગુજરાતમાં 42 લેઉવા પાટીદાર સમાજે સમાજમાં સુધારો લાવવા બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટે પહેલ કરી છે. ગુજરાતમાં આવું પહેલીવાર નથી થયું કે કોઈ સમાજે આવી સમાજમાં સુધારો લાવવા માટે પહેલ કરી હોય. આ પહેલા પણ ઠાકોર સમાજ, કડવા પાટીદાર સમાજ, ચૌધરી સમાજ સહિતના અનેક સમાજ છે. જેમણે પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી પ્રથાઓ સામે કાંપ મુક્યો છે. હવે આમાં 42 લેઉવા પાટીદાર સમાજનું નામ ઉમેરાયું છે.
બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા બહેનોની પહેલ
42 લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટેની પહેલ કરી છે. 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચા અટકાવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ પ્રિ-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરાશે. આ ચળવળમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. 28 મેના રોજ પાટણમાં સભા યોજી સમાજ સુધારા ચળવળ અંગે અંદાજે 3 હજાર બહેનો શપથ લેશે. 65 વર્ષ પછી બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે.
42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં શું સુધારા કરાયા?
- લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકવી
- જાનને 2 ટંક જમાડીને વિદાય આપવી
- મામેરામાં રૂપિયા 1થી 1 હજાર 51 સુધીની રકમ અને દાગીના મુકવા
- જાનમાં બેન્ડવાજા સદંતર બંધ કરવા
- લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા
- લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવા
- મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું
- મરણ જનારની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું
- મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવું
આંજણા ચૌધરી સમાજે પણ લીધો હતો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજ સુધારા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું ફરમાન કરાયું હતું. આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં આપવા, લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનું ફરમાન કરાયું હતું.