રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. એકબીજાના પક્ષમાં કાર્યકરો અને અગ્રણીઓને જોડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે વલસાડમાં ભાજપના 400થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનો મોટો દાવો કર્યો છે. જોકે આ અગાઉ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.
રાજકીય પક્ષોની જોડતોડની રાજનીતિ શરૂ
ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
400થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાનો દાવો
વલસાડમાં કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે અને ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ત્યારે અરનાલામાં કોંગ્રેસની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. જેમાં કપરાડા બેઠક જીતવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા હાંકલ કરવામાં આવી હતી. તેવામાં આજે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના 400થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો કોંગ્રેસે વિધાનસભાનું સત્ર લંબાવવાની માંગણી પણ કરી છે.
અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તમામ 400 કાર્યકરોને આવકાર્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપની છાવણીમાં ભારે સન્નાટો છવાયો હતો. આ કાર્યકર્તાઓએ કોંગ્રેસ જીંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારે આ દરમિયાન પક્ષ પલટુઓ મામલે અમિત ચાવડાએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, દળ બદલુઓને જનતા સબક શીખવાડશે. ભાજપ પ્રદેશ પ્રમુખને કોરોના હોવાથી તેઓ સારવાર હેઠળ છે તેવામાં અમિત ચાવડાએ આ ખેલ પાડ્યો હોવાનું મનાઇ રહ્યું છે.