અમદાવાદમાં આશ્રમરોડ નજીકની સર્કસમાં ચકડોળ ખામી સર્જાતા અટકી પડ્યું હતું. જેને લઇને તેમાં બેસેલા 40થી વધુ લોકો ફસાયા હતા. આ ઘટના પતંગ હોટલ નજીક રિવરફ્રન્ટ ખાતે આયોજિત મેળામાં બની હતી.
મળતી માહિતી અનુસાર રાઇડ્સમાં 40થી વધુ લોકો બેસેલા હતા. જ્યારે આ ચકડોળ ઉપર તરફ ગયું ત્યારે અટકી ગયું હતું. જેને લઇને ચકડોળમાં બેસેલા બાકો અને લોકો ફસાયા હતા.
ચકડોળ અટકી પડતા ફસાયેલા લોકો અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથધરી હતી. ત્યારબાદ હાઇડ્રોલિક ક્રેન મારફતે બાળકો અને ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દ્વારા રાઇડનું રિમાર્કિંગ કરવામાં આવ્યું હતું.
જોકે ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. જોકે આ રાઇડમાં 20-25 લોકોને બેસાડી શકાય છે, પરંતુ 40થી વધુ લોકો બેસાડતા આ ઘટના બની હતી. જેને લઇને સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. જોકે આ ઘટનામાં કોઇ હાની થવા પામી નથી.
ફસાયેલા બાળકોએ જણાવ્યું કે, ઝટકો લાગીને રાઇડ ઉપર અટકી ગઇ હતી. ત્યારબાદ નીચેથી લોકોએ બુમાબુમ કરતા કોઇ ખામી સર્જાઇ હોવાની અમને જાણ થઇ. આ રાઇડ પર અમે 20થી 25 મીનીટ સુધી બેસી રહ્યા. કોઇએ ફાયરને જાણ કરી દીધી હતી. ફાયર વિભાગની ક્રેન દ્વારા અમને નીચે સલામત રીતે ઉતારવામાં આવ્યા.
આ ઘટનાને લઇને અનેક સવાલો થાય છે કે શા માટે અનેક ઘટનાઓ બને છે તેમાંથી શિખતા નથી? આવી રાઇડને મંજૂરી કેમ આપવામાં આવી? આ ચકડોળની ચકાસણી કરવામાં આવી હતી? આટલી બધુ ઉંચાઇએ બાળકોને ચડાવવાની શું જરૂર હતી? ચકડોળમાં બેસેલા બાળકોને કંઇ થયું હોત તો જવાબદાર કોણ?