રાજકોટમાં 20 દિવસમાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતી વખતે 4 યુવકોના દુઃખદ અવસાન થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચારેય યુવકોના મૃત્યુ હાર્ટ ઍટેકને કારણે થયા છે.
આજે ક્રિકેટ રમતા-રમતા ઢળી પડ્યો યુવક
યુવકના મોત પાછળનું કારણ હાર્ટ ઍટેક
રાજકોટમાં હાર્ટ ઍટેકથી ચાર યુવકોના મોત
20 દિવસમાં 4 યુવકોએ ગુમાવ્યો જીવ
યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરી અત્યારસુધી આવા બનાવની અંદર હાર્ટ ઍટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું. પરંતુ તબીબોના તારણ અને અનુભવ મુજબ હવે કોરોના પછી યુવાનોમાં પણ હાર્ટ ઍટેકના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જેમાં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે યુવકોને હાર્ટ ઍટેક આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થઈ ગયું. આજે પણ આવો જ બનાવ સામે આવ્યો છે.
આજે રાજકોટમાં હાર્ટ ઍટેકથી યુવકનું મૃત્યુ
રાજકોટમાં આજે એક યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા દુઃખદ અવસાન થયું છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે જીગ્નેશ ચૌહાણ નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો. તાત્કાલિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં ત્રણ યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.
રેસકોર્સ મેદાનમાં અચાનક ઢળી પડ્યો જીગ્નેશ ચૌહાણ
રાજકોટમાં છેલ્લા 20 દિવસમાં ગ્રાઉન્ડમાં રમતી વખતે 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આજના બનાવ વિશે વાત કરીએ તો રાજકોટના રેસકોર્સમાં માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આજની આ ટુર્નામેન્ટમાં યુવા પત્રકાર જીગ્નેશ ચૌહાણે પણ ભાગ લીધો હતો. જેમાં જીગ્નેશ ચૌહાણે 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. બાદમાં આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન તે ખુરશી પરથી અચાનક ઢળી પડ્યો હતો.
મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી
જેથી જીગ્નેશને તાત્કાલિક શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. જીગ્નેશ ચૌહાણનું હાર્ટ ઍટેકના કારણે મોત નીપજ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. જીગ્નેશ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી મીડિયા સાથે સંકળાયેલ હતો. તેમજ પિતા પણ હયાત નથી. પિતાના નિધન બાદ તેણે પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી. ત્યારે આજે ઘરના આધારસમા જીગ્નેશના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં 2 વર્ષની દીકરી છે.
15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમીને પરત ફરતા યુવકનું મોત
4 દિવસ પહેલાં પણ રાજકોટ ખાતે ક્રિકેટ રમીને પરત ફરી રહેલા યુવકનું હાર્ટ ઍટેકના કારણે મોત નિપજ્યું હતું. બનાવની વિગત અનુસાર, ભરત બારૈયા નામનો યુવક ભાણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન ગત 15 ફેબ્રુઆરીએ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું, જેની તપાસમાં હાર્ટ ઍટેકથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને બનાવની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ભાણેજનાં લગ્નનું રીસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા મોતનો માતમ છવાયો હતો.
30મી જાન્યુઆરીએ હાર્ટ ઍટેકથી બે યુવકોના થયા હતા મોત
ગત જાન્યુઆરી મહિનામાં બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોના હાર્ટ ઍટેકના કારણે મોત થયાનું હોવાનું સામે આવ્યું હતું. એક ઘટનામાં યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે ટેનિસનો બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટ ઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
વિગતો મુજબ રાજકોટનો રવિ વાગડે નામનો યુવક 30 જાન્યુઆરીએ મિત્રો સાથે રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં મેચ દરમિયાન તેને છાતીના ભાગે ટેનિસ બોલ વાગતા તેને શ્વાસ ચડ્યો હતો. જોકે, બાદમાં તેણે એક યુવકને રનર રાખી મેચ રમવાનું ચાલુ રાખી 22 રન બનાવી દીધા હતા. જે બાદમાં તે પોતાની કારમાં જઈ બેસી ગયા બાદ હાર્ટ ઍટેક આવ્યો અને ત્યાં સ્થળ પર જ તેનું મોત થયું હતું.
ફૂટબોલ રમતા એક યુવકનું હાર્ટ ઍટેકથી મોત
ક્રિકેટ પ્લેયરના મોત બાદ હવે ફૂટબોલ રમતા યુવકનું મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. વિગતો મુજબ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ ઍટેકથી મોત નિપજ્યું હતું.
આ મામલે શું કહ્યું હાર્ટ સ્પેશિયાલિસ્ટે?
આ અંગે હાર્ટ સ્પિશિયલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે, નાની ઉમરે હાર્ટ ઍટેક આવવુએ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા અભ્યાસકાળામાં પણ મને શીખડાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે 50 વર્ષથી ઉપરની વ્યક્તિને હાર્ટ ઍટેક આવતો હોય છે. પરંતુ અહીં 20 વર્ષ જેટલી નાની ઉમરના યુવાનોને હાર્ટ ઍટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય છે.
હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે?
હાર્ટ ઍટેક આવવાના મુખ્ય કારણોમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવ્યું હતું કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.
હાર્ટ ઍટેકથી બચવા શું કરવું જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતુ કે, નાની ઉંમરે હાર્ટ ઍટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવા આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે.