છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં ડીપ્થેરીયા નામના રોગે દેખા દીધી છે ત્યારે આજે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના બાલીન્ટા ગામના એક ચાર વર્ષના બાળકનું શંકાસ્પદ ડીપ્થેરીયાના કારણે મોત નિપજ્યું હોવાની ચર્ચાઓએ સમગ્ર ગામમાં ભારે ચકચાર જગાવી છે.
શરદી-ઉધરસની સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાયો હતો બાળક
સોજિત્રા તાલુકાના બાલીન્ટા ગામે શંકાસ્પદ ડીપ્થેરિયાથી 4 વર્ષના સ્નેહ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે. શરદી-ઉધરસની સારવાર માટે બાળકને ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો. મહત્વનું છે કે ગત મહિને 6 ઓક્ટોબર 2020એ બાળકની મોટી બહેનનું શંકાસ્પદ ડીપ્થેરિયાના કારણે જ મોત થયું હતું. ગત સપ્તાહે આજ વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વે કર્યો હતો
11 વર્ષીય કિશોરી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. કિશોરીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે કિશોરીની તબિયતમાં કોઈ સુધારો ન થતા આખરે તેને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જોકે ત્રણેક દિવસની સારવાર બાદ આ કીશોરીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું.
ડીપ્થેરીયા રોગના લક્ષણો
ગુજરાતમાં દેખા દીધેલ ડીપ્થેરીયા રોગ ચેપી છે. આ રોગના લક્ષણોમાં તાવ આવવો, ઠંડી લાગવી, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, અવાજ ભારે થઈ જવો, શરીર પર ચાઠાં પડવા તથા શરીર તુટવા સહિતના લક્ષણો જોવા મળે છે.