હવે તો મંદિરો પણ હવે લૂંટારુ અને ચોરોથી સુરક્ષિત બચ્યાં નથી. છેલ્લાં ઘણાં સમયથી સૌરાષ્ટ્રનાં ગામે ગામનાં મંદિરોમાં ચોરી અને હુમલા સાથે લૂંટનાં બનાવો વધી ગયાં છે. આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રથી સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં મંદિરોને નિશાન બનાવીને લૂંટ મચાવતા ચાર લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ચારેય લૂંટારૂઓએ જેતપુર ડીવીઝનનાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, પાટણવાવ, મોટીમારડ જેવાં ગામોમાં લૂંટ ચલાવીને હાહાકાર મચાવ્યો છે. તો પોલીસે આ ચારેય લૂંટારૂઓને અસંખ્ય લૂંટ અને પૂજારીઓ પર હુમલાનાં ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, જેતપુરમાં ગત તારીખ 7/4/2018 ના રોજ બલદેવ ધાર પર આવેલા સતી આશ્રમમાં રહેતા પૂજારી રેવાનંદર પર કેટલાંક અજાણ્યાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યો અને બાદમાં મંદિરમાં લૂંટ ચલાવી. તો પૂજારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને ચારેય લૂંટારૂઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચારેય લૂંટારૂઓ દાહોદ જિલ્લાના વતની છે અને અહીં તેઓ ખેતીકામ કરવા માટે આવ્યાં હતાં. પોલીસે ઝડપેલા ચારેય લૂંટારૂઓમાં દિનેશ નરસિંગ ડામોર, રામસીંગ મોતિયા ડામોર, જોતીભાઈ તેરસીંગ ડામોર અને સુકરમ નવલસીંગ ડામોરનો સમાવેશ છે.
જેમાં રામસીંગ મોતિયા ડામોર આ બધાંનો ગુરુ અને માસ્ટર માઈન્ડ છે, જેતપુર પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ રીઢા લૂંટારુઓએ જેતપુર ડીવીઝનની 10થી પણ વધારે ધાડોની કબૂલાત કરી હતી. તેવાંએ કરેલ કબૂલાતમાં 10થી વધારે ગુના ઓ પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે, તે ઉપરાંત પણ તેમણે અન્ય એટલાં જ ગુનાઓ કર્યા છે કે જે પોલીસ ચોપડે ચડેલ નથી તેવાં પણ છે કે જેની તેઓએ કબૂલાત કરી છે અને એક લાખ રૂપિયાથી વધારેની રોકડ, સોનાનાં આભૂષણો અને અન્ય લૂંટનો માલ કાઢી આપેલ હતો. આ ચારેય લૂંટારૂઓએ જેતપુર ડિવીઝનમાં 10થી વધુ લૂંટ ચલાવી હોવાનું પણ કબૂલ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.