જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોને વધુ એક સફળતા મળી છે. ગુરૂવારે મોડી રાતે પુલવામામાં શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાબળે 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ 4 આતંકીઓમાં જમ્મૂ-કાશ્મીર પોલિસના 2 SPO પણ સામેલ છે, જે ગુરૂવારે સાંજે સર્વિસ રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા.
સૂત્રોને મળતાં અહેવાલ મુજબ આ આતંકી જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાયા હોવાનું અનુમાન છે. જમ્મૂ-કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું હતું કે સુરક્ષાબળે ચાર આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં બે SPO પણ સામેલ છે. આ SPO ગુરૂવારે હથિયાર લઇને ફરાર થઇ ગયા હતા.
સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દક્ષિણ કાશ્મીરના પુલવામાના લસીપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હતા જેને સેનાએ ઠાર માર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સાંજે જમ્મૂ-કાશ્મીર પોલિસના SPO પોતાની સર્વિસ રાઇફલ્સ લઇને ફરાર થઇ ગયા હતા.
જો કે ત્યારબાદ ખબર મળી હતી કે તેઓ આતંકીઓ સાથે જોડાઇ ગયા છે. જેને લઇને સુરક્ષાબળોએ ઓપરેશન તેજ કર્યું અને સેનાએ પોતાનું કામ શરૂ કરી દીધું. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ટૂક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે, એવામાં સુરક્ષાબળો પર સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી છે.
અમરનાથ યાત્રા હંમેશા આતંકીઓના નિશાને રહે છે. સેના દ્વારા ઘાટીમાં આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે. ગત વર્ષે સેનાએ અંદાજે 250થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા, આ વખતે હજુ સુધીમાં આ આંકડો 100 કરતા વધી ગયો છે.