નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને રાજ્ય અને દેશની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે.
નવજોત સિંહ સિદ્ધૂનું પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું
સિદ્ધૂની નારાજગીના ચાર કારણો સામે આવ્યાં
સીએમ ચન્ની અને સિદ્ધૂ વચ્ચે ઘણા મુદ્દે મતભેદો હતા
કેબિનેટ વિસ્તરણ બાદ ચન્ની અને સિદ્ધૂ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યાં
નવજોત સિંહ સિદ્ધૂએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામાનો પત્ર લખી મોકલ્યો છે. પરંતુ હવે સિદ્ધૂની નારાજગીના ચાર કારણો સામે આવ્યાં છે. નવજોત સિદ્ધૂએ જ ચન્નીને સીએમની ખુરશીએ બેસાડ્યાં હતા તો પછી બન્ને વચ્ચે આખરે એવું તે શું થયું કે સિદ્ધૂએ અચાનક રાજીનામું આપી દીધું. સીએમ ચન્ની અને સિદ્ધૂ વચ્ચે ઘણા મુદ્દે મતભેદો હતા જે કેબિનેટ વિસ્તરણ બાદ સામે આવ્યાં હતા.
(1) કેબિનેટમાં જે રીતે વિભાગોની ફાળવણી કરાઈ તેનાથી સિદ્ધૂ નાખુશ હતા.
(2) નવી કેબિનેટમાં સુખવિંદર સિંહ રંધાવાને ગૃહમંત્રી બનાવાયા, સિદ્ધુ અને તેમના સાથીઓને આ વાત ખટકતી હતી.
(3) અમૃતસર સુધાર ટ્રસ્ટનો લેટર ચરણજીત સિંહ ચન્ની દ્વારા આપવામાં આવ્યો જ્યારે સિદ્ધૂ ખુદ આ લેટર સોંપવા માગતા હતા.
(4) કેટલાક અધિકારીઓની બદલીથી સિદ્ધૂ ખુશ નહોતા.
સિદ્ધુના રાજીનામા આ પણ કારણો હોઈ શકે
એડવોકેટ જનરલની નિયુક્તીના મુદ્દે પણ ચન્ની અને સિદ્ધુ વચ્ચે ચડભડ ચાલી રહી હતી. સિદ્ધુ સુપ્રીમના પૂર્વ જજ કુલદીપ સિંહના પુત્ર ડીએસ પટવાલિયાને એડવોકેટ જનરલ બનાવવા માગતા હતા. આ નિયુક્તી ફાઈનલ પણ થઈ ગઈ હતી પરંતુ અચાનક વચ્ચે કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ અણમોલ રતન સિદ્ધુનું નામ ચાલવા લાગ્યું. તે ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોને બનાવવા તે અંગે પણ તેમની વચ્ચે કમેળ સર્જાયો હતો.
નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય છે. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.