મહામારીમાં મહા-કમાણીનો કાળો કારોબાર શરૂ થયો છે. એક તરફ લોકો કોરોના સામે જજૂમી રહ્યા છે. હોસ્પિટલોમાં સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કાળા બજારીઓએ મહામારીની દવાના નામે કાળા બજારી શરૂ કરી છે. કોરોનાના દર્દીને આપવામાં આવતું 40 હજારનુ ઈન્જેક્શન હવે ડુપ્લિકેટ પણ આવવા માંડ્યું છે. અને આ ઈન્જેક્શનના નામે લાખો રૂપિયાની લૂંટ થઈ રહી છે. આવા જ એક રેકેટનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે. જેનું કનેક્શન છેક સુરત સુધી ઝડપાયું છે. જેમાં એક આરોપી ડુપ્લીકેટ ઈન્જેક્શન બનાવી ફાર્મા કંપનીઓને વેચતો હતો. કેવી રીતે ચાલી રહ્યો છે મહામારીમાં મોતનો ખેલ...
સુરતનો સોહેલ બનાવતો હતો ઈન્જેક્શન
આરોગ્યની ટીમે સોહેલના ઘરે પાડ્યા દરોડા
ઘટનામાં 4 લોકોની સંડોવણી આવી સામે
એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. લોકો કોરોનાથી બચવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. લોકો લાખો રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. તેવામાં લોકોની આ મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે કાળા બજારીઓની સાથે-સાથે હવે નકલી ઈન્જેક્શન બનાવતા માફિયાઓ પણ સક્રિય થયા છે. આવા જ માફિયાઓના એક રેકેટનો મહા પર્દાફાશ થયો છે. જેમાં 5 હજારમાં બનતું નકલી ઈન્જેક્શન 40-45 હજાર રૂપિયામાં વેચાતું હતું. એટલે કે, જે લોકો મોત સામે જજૂમી રહ્યા છે તેમની પાસેથી લાખો રૂપિયાના તોડ કરતું કૌભાંડ સામે આવ્યું છે. ઘટનામાં 4 લોકોની સંડોવણી આવી સામે છે.
કેવી રીતે ઝડપાયું ઈન્જેક્શનનું રેકેટ?
આ કૌભાડ અમદાવાદમાં ઝડપાયું છે. પરંતુ આ મોતના કારોબારના તાર છેક સુરત સુધી લંબાયા છે. કારણ કે, અમદાવાદમાં તો આ ઈન્જેકશન વેચાતું હતું. પરંતુ તેનું ઉત્પાદન તો સુરતમાં થયું હતું. આ કૌભાંડનો ભાંડો કેવી રીતે ખુલ્યો તે અંગે વાત કરવામાં આવે તો.. અમદાવાદની સંજીવની હોસ્પિટલના એક દર્દીને ઈન્જેક્શનની જરૂર હતી. જે બાદ દર્દીના પરિવારજનો ઈન્જેક્શન લેવા માટે સાબરમતીમાં આવેલી માં ફાર્માસીમાં પહોંચ્યા. ત્યાંથી તેમણે 1.35 લાખમાં ત્રણ ઈન્જેક્શન ખરીદ્યા. જે બાદ ડોક્ટરે આ ઈન્જેક્શન દર્દીને આપ્યું, પરંતુ દર્દીની હાલતમાં કોઈ સુધાર ન જણાયો. જેથી ડૉક્ટરને શંકા ગઈ અને તેમણે ઈન્જેક્શનની તપાસ કરી તો તે ઈન્જેક્શન સિપલા કંપનીનું નહોતું. ડોક્ટરે શંકાના આધારે આરોગ્ય વિભાગને જાણ કરી અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટયો. જરા એ ડોક્ટરને પણ સાંભળો જેણે આ નકલી ઈન્જેક્શનનો પર્દાફાશ કર્યો છે.
મહત્વનું છે કે, એક તરફ કોરોના ગુજરાતના મોટા શહેરો પર હાવી બનતો જઈ રહ્યો છે. તો બીજી તરફ મોત સામે મોતથી બચાવતી દવાના નામે કાળો કરોબાર થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ટોસિલિજૂમેબના કાળા કારોબાર અંગે પર્દાફાશ થયો હતો. તેવામાં હવે ટોસિલિજૂમેબના નામે નકલી ઈન્જેક્શનનું રેકેટ ખુલ્યું છે. જે ક્યાંકને ક્યાંક આરોગ્ય તંત્રની નિષ્ફળતા બતાવી રહ્યું છે.