કચ્છના મુંદ્રા પોર્ટ પર 21 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાવવા મામલે હવે નવા ખુલાસા સામે આવ્યા છે.
મુંદ્રા ડ્રગ્સ અને પોરબંદર ડ્રગ્સ મામલે સૌથી મોટો ખુલાસો
અફઘાનિસ્તાનથી ડ્રગ્સના કન્સાઈન્મેન્ટ આવ્યા હોવાનો ખુલાસો
શ્રીલંકા પોલીસે ગુજરાત ATS નો સંપર્ક કર્યો
તપાસનો ધમધમાટ
મુંદ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે ઘણા બધા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ભારતના ઈતિહાસમાં ડ્રગ્સનો સૌથી મોટો 21 હજાર કરોડની જથ્થો ગુજરાતમાંથી પકડાયો છે જેમા NIA, ATS અને ED તપાસમાં જોતરાઈ ગઈ છે ત્યારે આ તપાસનાં ધમધમાટમાં ઘણા બધા ખુલાસા થયા છે.
1. સમગ્ર કેસમાં ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હોવાનું સામે આવી રહ્યું છે જેમા શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે.
2. આ કેસમાં રડારમાં આવેલા ચેન્નાઈનાં દંપત્તિએ આ પહેલા જુલાઇ મહિનામાં પણ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે
3. સમગ્ર કેસમાં ચેન્નાઈનાં કપલ અને અફઘાનિસ્તાનનાં ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે, અમિત મૂળ દિલ્હીનો છે.
4. આ સિવાય કસ્ટમ હાઉસનાં જ એક એજન્ટનો પણ આ કાળા કારોબારમાં રોલ હોવાનું ખૂલ્યું છે જેનું નામ કુલદીપ સિંહ છે.
ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો
નોંધનીય છે કે DRIએ આ ડ્રગ્સનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પકડી પાડ્યો હતો જેમા ડ્રગ્સની કિંમત હવે 21 હજાર કરોડની હોવાનું સામે આવ્યું છે. હજારો કરોડનાં કાળા કારોબારનાં આ કૌભાંડનમાં ED પણ તપાસમાં જદોઆઈ છે. 21 હજાર કરોડ રૂપિયાનો જથ્થો પકડાવવો એ ભારતનાં ઈતિહાસમાં પહેલી ઘટના છે ત્યારે હવે આ કેસ પર આખા દેશની નજર છે.
તપાસનો ધમધમાટ : પાકિસ્તાન અને તાલિબાનનો હાથ હોવાની આશંકા
સરકારનાં નાક નીચે હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું કામ કરવામાં આવ્યું છે ત્યારે ભારતને નશામાં ખરાબ કરવામાં પાકિસ્તાનનો પણ હાથ હોય શકે છે ત્યારે ISI તથા તાલિબાન હવે તપાસ એજન્સીઓની રડારમાં આવી ગયા છે. આ કનેક્શનની તપાસ હવે મુંદ્રાથી ગાંધીધામ, દિલ્હી, માંડવી, ચેન્નઈ અને અમદાવાદ સુધી પહોંચી છે. એવામાં આગમી સમયમાં તપાસ બાદ કેટલાક નવા નામો સામે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અદાણીએ આપી સફાઇ
અબજોપતિ ગૌતમ અદાણીમાં ચાલતી અદાણી કંપની મુંદ્રા પોર્ટનું સંચાલન કરે છે ત્યારે ડ્રગ્સ પકડાવવા મામલે કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે Directorate of Revenue Intelligence વિભાગ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જેના માટે તેમનો આભાર. કંપનીએ કહ્યું કે અમારું કામ માત્ર પોર્ટનું સંચાલન કરવાનું છે અમે તેની તપાસ કરતાં નથી. પોર્ટનું સંચાલન કરવા પૂરતું જ અમે કામ કરીએ છે. કંપનીએ કહ્યું કે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા ખોટા પ્રચારો પર રોક લાગવી જોઈએ.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું પદ છેલ્લા 18 મહિનાથી ખાલી કેમ છે? પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાતથી આવ છે તે આ ડ્રગ સિન્ડીકેટને તોડવામાં અસમર્થ કેમ છે? ખેડાએ દાવો કરતાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતનાં તટ પર પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે અને આ જ માર્ગ તેમનો ફેવરિટ બની ગયો છે. ખેડાએ ખૂબ જ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ડ્રગ્સનાં 10 જથ્થાઓને જવા દેવામાં આવે છે અને એકને પકડી લેવામાં આવે છે જેથી લોકોને એવું લાગે કે એજન્સીઓ કામ કરી રહી છે.