વિધાનસભા સત્રના અંતિમ દિવસે કોંગ્રેસના કેટલાક MLA કોંગ્રેસ છોડે તેવી શક્યતા
કોંગ્રેસને ફરી લાગશે ઝટકો?
કોંગ્રેસના ધારાસભ્યો છોડી શકે સાથ
4 MLA ભાજપમાં જોડાઈ શકે
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલુ છે ત્યારે ફરી ચૂંટણી પૂર્વે ઓપરેશન લોટ્સ સક્રિય થયું છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી પક્ષપલટાની ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના જે MLA ભાજપની રડાર માં છે તેં કેસરિયો કરે તેવી શક્યતા વર્તાઇ રહી છે. મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પ્રવાસે છે તે દરમિયાન જામકડોરણામાં સભામાં કોંગેસના કેટલાક MLAને ભાજપનો ખેસ પહેરે તેવી રાજકિય ગતિવિધિઓ દેખાઈ રહી છે.
ત્રણ થી ચાર કોંગ્રેસના MLAને આવકારવા તખ્તો તૈયાર
મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર પણ મળી રહ્યું છે. જેના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રના 4 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળ પર સવાર થઈ શકે છે.જામકંડોરણામાં ત્રણ થી ચાર કોંગ્રેસના MLAને આવકારવા તખ્તો તૈયાર થઈ ગયો છે. બસ કયા કોંગી ધારાસભ્યો ભાજપમાં એન્ટ્રી કરશે તેણે લઈને અનેક નામો સામે આવી રહ્યા છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખાસ કરીને નીચેના 4 ધારાસભ્યોના નામ લિસ્ટમાં મોખરે છે. પણ તેઓ સતત રટણ કરી રહ્યા છે કે અમે કોંગ્રેસની સાથે જ છીએ, વાત માત્ર અફવાઓ છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં કયા નવા ખેલ જોવા મળી શકે છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજકોટની મુલાકાતે છે.
આ 4 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે: સૂત્ર
ચિરાગ કાલરીયા - જામજોધપુર
હર્ષદ રીબડીયા - વિસાવદર
અંબરીશ ડેર- રાજુલા
લલિત વસોયા - ધોરાજી
5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવશે પીએમ મોદી
તો બીજી તરફ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે પીએમ મોદી પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આમ કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. જ્યારે 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે PM મોદી આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે
કોંગ્રસના ધારાસભ્યોનું ભાજપ ગમન યથાવત
કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આ તરફ આ પક્ષપલટાથી કોંગ્રેસનું પેટનું પાણી પણ હલતું નથી અને જાહેર મંચ પરથી એમ કહ્યા કરે છે કે જેને જવુ હોય એ જાય, એવા પાંચ પચ્ચીસ જવાથી અમને ફરક પડતો નથી. હાલ ધારાસભ્યો તૂટવાની વાતથી ખુદ કોંગ્રેસ પણ અજાણ છે તેવું પણ નથી. કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીને પણ એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે અને તેની પાછળના કારણો પણ છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના ક્યા ધારાસભ્યો છે, જે પાર્ટી છોડવાની ફિરાકમાં છે ? કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે? શું કોંગ્રેસ પાર્ટી તેમના ધારાસભ્યોની સાચવી શકતી નથી?