પવિત્ર યાત્રાધામ અમરનાથ નજીક આભ ફાટવાની દુર્ઘટનાને પગલે અરેરાટી મચી જવા પામી છે. અમરનાથ ગુફા નજીકની આ અવકાશી આફતને પગલે અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં હોવાના સમચાર મળી રહ્યા છે આવી વિપત્ત વેળાએ અમરનાથ યાત્રામાં ફસાયેલા વડોદરાના વકીલોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બીજી તરફ અમરનાથ યાત્રાએ ગયેલા મોરબી જિલ્લાના હળવદ પંથકના 3 યુવકો ગુમ થયા હોવાનું સામે આવતા પરિવારજનોના જીવ ઊચક થયા છે. ગુમ થયેલા ચાર યુવકોમાંથી એક યુવક સેનાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વધુમાં ભાવનગર અને સુરતના શ્રદ્ધાળુઓ સલામત સ્થળે હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમરનાથ યાત્રામાં ફસાયેલા વડોદરાના વકીલોનું રેસ્ક્યુ
અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું. આ દુર્ઘટના અમરનાથ ગુફાથી એક-બે કિલોમીટરના અંતરે બનતા આ વેળાએ ગુફા પાસે 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ હાજર હતા. આભની અટારીએથી ઉતરેલી આ આફતને લઈને ઠેર ઠેર વિનાશ વેરાયો છે. એનડીઆરએફના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર 16 લોકોનાં મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે તથા યાત્રાળુઓના ટેન્ટને પણ મોટા પાયે નુકસાન થયું છે. તેવામાં અમરનાથ યાત્રામાં ફસાયેલા વડોદરાના વકીલોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે. 12 હજાર ફૂટની ઊંચાઈએ વકીલોનું ગ્રુપ પહોચ્યું હતું. જેમાં વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ સહિત જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકિલ જગદીશભાઈ રામાણી, પ્રણવ જોશી, મગન ઠાકરા, જયેશ ઠક્કર, જયેશ રામાણી સહિતના અટવાયા હતા. આ અંગે જાણ થતાં તમામને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા છે. વકીલોને રેસ્કયૂ કરીને સલામત ટેન્ટમાં ખસેડાયા હોવાનું જણાવા મળી રહ્યું છે.
અમરનાથ યાત્રાએ ગયેલા હળવદના 3 યુવકો ગુમ
વધુમાં અમરનાથ યાત્રાએ ગયેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 4 યુવાનો લાપતા બન્યા હતા. જેમાં શામજીભાઈ વશરામભાઈ ભરવાડ (ઉં વ ૨૫ રહે. પંચમુખી ઢોરો ,હળવદ),પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા (ઉં. વ. 25 રહે.પંચમુખી ઢોરો હળવદ) અને પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા (ઉ. વ. ૨૫ રહે પંચમુખી ઢોરો હળવદ) અને નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા (ઉ. વ ૨૧ પંચમુખી ઢોરો હળવદ) સહિતના ચાર વ્યક્તિઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. જે આ પૂરની દુર્ઘટના દરમિયાન સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા સેનાના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે હજુ પણ ત્રણ યુવાનોનો સંપર્ક ન થતાં વતનમાં તેમના પરિવારજનોના જીવ પડીકે બંધાયા છે.
ભાવનગર-સુરતના યાત્રિકો સહી-સલામત
અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના વચ્ચે ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ મોટી સંખ્યામાં લોકો ગયા છે. એકલા ભાવનગરથી જ 9 બસ ભરી યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયા હતા. જે તમામ સહી-સલામત હોય અને 6 બસના યાત્રિકો પહેલગાવ હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. 260 જેટલા પ્રવાસીઓ સલામત સ્થળે હોવાની માહિતી મળી છે. જે તમામ પ્રવાસીઓ સોમવારે ભાવનગર આવવા રવાના તેવું જાણવા મળી રહ્યું છે. વધુમાં સુરતથી અમરનાથ ગયેલા 15 લોકો પણ સહી-સલામત છે જે તમામ 15 લોકો સુરતના અડાજણ વિસ્તાર છે અને 15 લોકોનું ગ્રુપ અમરનાથ યાત્રાએ ગયું હતું સમગ્ર ગ્રુપ સુરક્ષિત રીતે પરત ફરી રહ્યું છે તે અંગે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ એક નિવેદન જારી કરી માહિતી આપી હતી.