મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રીઓના મૃત્યુને લઇ પદયાત્રીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અરવલ્લી જિલ્લાના માલપુર નજીક નડેલ અકસ્માતની ઘટના બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરીને રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹4 લાખ તથા ઇજાગ્રસ્તોને ₹50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઇએ કે, અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.
પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
જો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.