ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગામડાઓના સ્થાનિકોને દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે.
મિતિયાળા ગામમાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું
મકાન ધરાશાયી થવાની દહેશત વચ્ચે ઘરની બહાર ઉંઘવા લોકો મજબૂર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું 1800ની વસ્તી ધરાવતું મિતિયાળા ગામ અભ્યારણ જંગલને અડીને આવેલું ગામ છે. સિંહ દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે. જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળાવાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે. ગઈકાલે મિતિયાળા ગામમાં સવારે 7.42એ પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો બાદમાં બપોરે 5.55 વાગ્યે ફરી ધરા ધ્રુજી ને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે રાત્રીના 8.34એ ચોથીવાર મિતિયાળાની ધરા ધ્રુજતા આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.
દહેશત વચ્ચે ગ્રામજનો ઘરની બહાર સૂવા મજબૂર
રાત્રીના ક્યાંક ભૂકંપનો આંચકો આવે ને મકાન ધરાશાયી થવાની ગંભીર દહેશત વચ્ચે ગામના નાના નાના ભૂલકાઓથી લઈને મિતિયાળાના વયોવૃદ્ધો પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની ન છૂટકે મજબૂરી ઉભી થઇ હતી. સિંહ દીપડા જેવા હિંસક પશુઓના ડર કરતા ભૂકંપનો ભય એટલી હદે મિતિયાળા વાસીઓના હૃદયમાં પેસી ગયો છે કે પોતાના મકાનના રૂમો બંધ કરીને બહાર કડકડતી ઠંડીમાં સુઈ રહ્યા છે.
વારંવાર ઝટકાઓથી લોકોમાં ભય
મિતિયાળામાં ખાતે રહેતા લોકોને જંગલ નજીક હોય ને સિંહ દીપડાઓની કાયમી લટાર ગામમાં હોવા છતાં ભૂકંપના વારંવાર ઝટકાઓથી એટલી ફડક પેસી ગઈ છે કે સિંહ દીપડા હુમલો કરશે ને તો બચવાની શક્યતાઓ રહેશે પણ જો ભૂકંપના આંચકાઓથી મકાન જ ધરાશાયી થશે તો જીવ જવાનો ભય વધી ગયો છે. ત્યારે મિતિયાળાવાસીઓના રાત ઉજાગરા શરૂ થયા છે ને સ્થાનિકો ભયના ઓથાર તળે જીવવાની મજબૂરી કડકડતી ઠંડીમાં બહાર સુવાની થઈ છે
શિયાળાની કડકડતી ઠંડી લોકોની ઊંઘ હરામ
મિતિયાળા ગામ છેલ્લા એક દોઢ માસમાં 40 જેટલા ભુકંપના આંચકાઓ સહન કરી ચૂક્યું છે. ભુકંપના આંચકાઓથી ઘરમાં રાખેલા વાસણો પડી જાય છે ઘણી મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે ને તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂકેલા લોકો તંત્ર સામે લાચાર બની ગયા છે. શિયાળાની કડકડતી ઠંડી હોય ને ઉપરથી હિંસક પશુઓના રહેઠાણ વચ્ચે પણ ભૂકંપના ભયે મિતિયાળા વાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે