છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક કોવિડ સેન્ટરમાં આગ લાગતા 4 લોકોના મોત થયા હતા.
રાયપુરની રાજધાની હોસ્પિટલમાં આગ લાગી
પંખામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
આગ લાગી ત્યારે 50 દર્દીઓ સારવાર હેઠળ હતા
દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં શિફ્ટ કરાયા
4 લોકોના મોત,મુખ્યમંત્રી બઘેલે મૃતકોને પરિવાર માટે 4 લાખની સહાયની કરી જાહેરાત
રાયપુરના એસપી અજય યાદવે જણાવ્યું કે આગ ગંભીર રીતે દાઝતા એક વ્યક્તિનું મોત થયું જ્યારે ગૂંગળામણને કારણે 3 લોકોના મોત થયા. રાયપુરની પચપેડી નાકા વિસ્તારની રાજધાની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગી ત્યારે લગભગ 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.
પંખામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
આગ લાગતા 4 લોકોના મોત થયા હતા પરંતુ બાકીના 46 દર્દીઓને તાત્કાલિક ધોરણે બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા. તથા તંત્ર દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલના માલિકો સામે બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવશે. યાદવે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી આ હોસ્પિટલના વોર્ડમાં કોરોનાના 50 દર્દીઓને દાખલ કરાયા હતા. પંખામાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી જે બીજા વોર્ડમાં ફેલાઈ હતી. આગ ચાલુ હતી ત્યારે અગ્નિશમન ઉપકરણનો કેમ ઉપયોગ ન કરાયો તે અંગેની તપાસ કરાઈ રહી છે તથા માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવશે.
સ્ટ્રેચર પર ઠાંસીઠાંસીને ભરીને દર્દીઓને બહાર લવાયા
આગ લાગી ત્યારે હોસ્પિટલમાં ખૂબ ઓછી સંખ્યામાં સ્ટ્રેચર ઉપલબ્ધ હતા. દર્દીઓને સ્ટ્રેચર પર ઠાંસીઠાંસીને સુવડાવીને બીજા વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. તથા ત્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
મૃતકોના પરિવારને મળશે 4-4 લાખની આર્થિક સહાય
ઘટનાની ખબર મળતા અગ્નિશમન દળની ગાડીઓને રવાના કરવામાં આવી હતી. તથા દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા. મુખ્યમંત્રી ભુપેશ વઘેલે આ ઘટના પર શોકની લાગણઈ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ મૃતકના દરેક પરિવારને 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી.
મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો
મહારાષ્ટ્રમાં કોરોના કેસોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, શનિવારે છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 67,123 નવા કેસ મળી આવ્યા છે. આ સમય દરમિયાન 419 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 56783 દર્દીઓ પણ સ્વસ્થ બન્યા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 6,47,933 પર પહોંચી ગયા છે. જ્યારે તંદુરસ્ત લોકોની કુલ સંખ્યા 30,61,174 પર પહોંચી ગઈ છે. કોરોનાથી થતાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 59,970 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ બે કરોડ 35 લાખ 80,913 ટેસ્ટ થયા છે, જેમાંથી 37,70,707 પોઝિટિવ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 55 લાખ 72 હજાર 584 લોકો હોમ કવોરંટીન તરીકે છે, જ્યારે 25 હજાર 625 લોકો સંસ્થાગત કવોરંટીન છે.
બિહારમાં 7870 નવા કેસ
બિહાર જેવા રાજ્યોમાં પણ હવે કોરોનાના કેર વધી રહ્યો છે, રાજધાની પટણા અને અન્ય જિલ્લાઓમાં પણ સરકારી હોસ્પિટલોમાં અત્યારથી જ બેડ ન મળવાના અહેવાલઓ આવવા લાગ્યા છે, છેલ્લા 24 કલાકમાં અહીં 7870 કોરોના કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસ 39,497 છે.