ઉમરેઠના રતનપુર કેનાલમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં ન્હાવા પડ્યાં બાળકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે
ઉમરેઠના રતનપુરા કેનાલમાં 4 બાળકો ડૂબ્યા
2ના બાળકોનો ડૂબવાથી મોત, 2નો બચાવ
ચારેય બાળકો રતનપુરાના રહેવાસી
ઉમરેઠના રતનપુર ગામ પાસે બની ઘટના
આણંદના ઉમરેઠમાં રતનપુરા ગામે 4 બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત માટે ગામની નજીકની કેનાલમાં ન્હાવા માટે પડયા હતા. કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી 2 બાળકો પાણી ખેંચાઇ જતાં અન્ય 2 બાળકો બૂમબામ કરતાં રસ્તે પસાર થતા તેમજ નજીક રહેતા લોકોએ બંને બાળકોને બચાવી લીધા હતા.
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં ન્હાવા માટે ગયા
આણંદના ઉમરેઠમાં રતનપુરા ગામ પાસે પસાર થતી કેનાલમાં ગામના 4 બાળકો કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાથી ચારેય બાળકો કેનાલના પાણીમાં તણાયા હતા. કેનાલમાં તણાયા બાદ બાળકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. જે બાદ ત્યાંથી પસાર થઈ રહેલાં રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.
બાદમાં ઘટનાની જાણ થતાં આણંદ ફાયર વિભાગ પણ તાત્કાલિક પહોંચ્યું હતું. બાદમાં ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ફાયર વિભાગે બે બાળકોને બચાવી લીધા હતા.જો કે, આ ઘટનામાં બે બાળકો કેનાલના પાણી ડૂબી જવા પામ્યા હતાં મહત્વનું છે કે, ફાયર વિભાગે બે બાળકોનાં મૃતદેહ પણ બહાર કાઢ્યા છે. બાદમાં બાળકોનાં મૃતદેહને ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી.
બે બાળકોનાં મોત બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો
આમ કેનાલમાં ગામના બાળકો ડૂબ્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. જો કે, બે બાળકોનાં મોત બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.