વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસ મામલામાં આખરે પોલીસે આખરી આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. વૈશાલીનું મફલરથી ગળું દબાવી હત્યા નીપજાવાનાર મુખ્ય આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પિન્નીને પંજાબથી દબોચી લીધો છે.પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાનો ઉપયોગ આરોપીઓ લક્ઝરી લાઇફ સ્ટાઇલમાં જીવન જીવવા અને મોજશોખની સાથે મોંઘા ટેટુઓ ચીતરાવવા પાછળ પૈસા ખરચતો હોવાનું પણ બહાર આવ્યું છે.
અત્યાર સુધી 3 આરોપીઓની કરાઇ ધરપકડ
વલસાડ જિલ્લાના પારડી નજીક પાર નદી કિનારેથી ગઈ 28 ઓગસ્ટના રોજ બીનવારસી હાલતમાં પડેલીએ કારમાંથી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરતા વૈશાલીની હત્યા તેની જ મિત્ર બબીતાએ કરાવી હોવાનું બહાર આવ્યું હતું. બબીતાએ વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે પંજાબના કોન્ટ્રાક્ટ કિલરોને 8 લાખની સોપારી આપી અને વૈશાલીની હત્યા કરાવી હોવાનું ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે આરોપી બબીતાની ધરપકડ કરી હતી. પછી પોલીસે વૈશાલીની હત્યા કરનાર આરોપી કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંગ લાલસિંગ સુખવિંદર ઉર્ફે ઇલુ ઉર્ફે સૂખાભાટીની ધરપકડ કરી હતી અને આ મામલામાં બબીતાની સાથે કુલ 4 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ પોલીસે બબીતા અને પંજાબથી બે કોન્ટ્રાક્ટ કિલરોની ધરપકડ કરી હતી. બાકી રહેલા આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પન્નીની પણ ધરપકડ કરી આખરે તેને પાંજરા પાછળ ધકેલી દીધો છે.
પન્નીએ સોપારીથી મળેલા રૂપિયા ટેટ્ટુ બનાવવામાં ખર્ચ કર્યા
તમામ આરોપીઓ પંજાબના સ્થાનિક ટપોરી અસામાજિક તત્વો છે. તેઓ પૈસા માટે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરવા હંમેશા તૈયાર હોય તેવી માનસિકતા ધરાવે છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં મેળવેલા રૂપિયા અને મોજ શોખ પાછળ વાપરતા હોવાનું અને શરીર પર મોંઘા ટેટુ ચિત્રાવતા હોવાનો પણ શોખ ધરાવે છે. આમ વૈશાલીની હત્યા બાદ મળેલા રૂપિયાથી આરોપીઓએ શરીર પર મોંઘા ટેટુ પર ચીતરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.