છોટાઉદેપુર: તમામ સરકારો દ્વારા વિકાસની ભલે ગમે તેવી વાતો થતી હોય પરંતુ ગુજરાતના એવા પણ ગામડા છે જ્યાં છ-છ દાયકાથી લોકો પાણી માટે વલખા મારે છે. સરકાર કોઇપણ હોય પરંતુ આ ગામના લોકોને પાણીની સમસ્યા જાણે કે વારસામાં મળી છે એટલે ઠંડી હોય ગરમી હોય કે પછી ભલેને વરસાદની ઋતુ હોય મહિલાઓને પાણી ભરવા માટે બારેમાસ ભટકવુ પડે છે.
આ વ્યથા છે ગુજરાતના જ એક ગામડાની. જ્યાં માત્ર ઉનાળામાં જ નહી પરંતુ શિયાળા અને ચોમાસાની ઋતુમાં પણ લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલા છોટા ઉદેપુર જિલ્લાનું કછાટા ગામ.
આ ગામ 800 લોકોનું વતન છે. પરંતુ હવે પાણીની અછત જ ગામની ઓળખ બની ગઇ છે. ગામમાં અત્યાર સુધીમાં સાત બોરવેલ કરવામાં આવ્યા છે. પરંતુ કમનસીબી કહો કે તંત્રની બેદરકારી આજે સાતમાંથી એકપણ બોરવેલમાંથી પાણી આવતું નથી તો ગામમાં બનાવવામાં આવેલા હેડપંપ પણ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગામમાં તો પાણી છે નહીં એટલે મહિલાઓ ગામ પાસેથી પસાર થતી સુકી નદીમાં નાના નાના ખાડા ખોદ્યા અને તેમાં જે પાણી ભેગુ થાય છે તેને વાટકા વડે લઇને માટલામાં ભરે છે. પાણીનો સ્ત્રોત સિમિત છે. એટલે એક બેડું પાણી ભરવા માટે મહિલાઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. ગામમાં પાણીની સમસ્યા અપાર છે. પરંતુ સરકારી ઓફિસમાં બેસેલા અધિકારીઓને ગામના લોકોનો પોકાર હજુ સુધી સંભળાયો નથી.
અધિકારીઓ ભલે તપાસનું બહાનું કાઢતા હોય. પરંતુ ગતિશીલ ગુજરાતની આ જનતા આજે પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહી છે. સરકારો બદલાઇ પરંતુ 60 વર્ષથી ગામની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યારે પાણીની તંગી નવી પેઢી માટે વારસો ન બની જાય તે માટે આ સમસ્યા નો ઉકેલ ઝડપી આવે તે જરૂરી છે.