વરસાદને કારણે દેશમાં અનેક રાજ્યો વારાફરથી આફતોનો સામનો કરી રહ્યા છે ત્યારે હાલમાં આસામની સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે. આસામમાં આકાશી આફતના કારણે 36 લાખ લોક પ્રભાવિત થયા છે. ત્યાં 66 લોકોના મોત પણ નિપજ્યા છે.
આસામમાં પૂરના કારણે 36 લાખ લોકો પ્રભાવિત
પૂરના કારણે આસામમાં 66 લોકોના મૃત્યુ
બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર અનેક જિલ્લામાં ભયજનક સપાટીએ
આસામમાં પૂરના કારણે 1.28 લાખ હેક્ટર જમીનને નુકસાન
આસામમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે આસામના બક્સા જિલ્લામાં દરંગા નદીમાં અચાનક પૂર આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. આ ઘટના ભારત અને ભૂટાન સીમા પર આવેલા નાગરગુલી વિસ્તારની છે. જ્યાં એક વ્યક્તિ જંગલમાં લાકડા લેવા માટે ગયો હતો. પરંતુ પહાડી વિસ્તારમાં નદીમાં અચાનક પૂર આવવાના કારણે સ્થાનિક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જેમાં એક વ્યક્તિ નદીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો.
જે બાદમાં પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. પૂરના કારણે આસામમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામના 26 જિલ્લા પૂરના કારણે પ્રભાવિત થયા છે. જેમાં ધુબરી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. ભારે વરસાદ અને પૂરના કારણે 1 લાખ 28 હજાર હેક્ટર જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે.
મુંબઈમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હજું ભારે વરસાદની આગાહી કરી છે. અહીં 18 કલાક વરસાદની આગાહી છે. જેને પગલે તેમણે રેડ એલર્ટ પણ જાહેર કર્યુ છે. આ પહેલા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
બીજી તરફ ઉત્તરાખંડમાં 31 કલાક બાદ બદરીનાથ હાઈવે ખૂલ્યો છે. ભારે વરસાદને કારણે આ રોડ બંધ થઈ ગયો હતો.