— DISTRICT INFORMATION OFFICE, WARDHA (@InfoWardha) February 19, 2021
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ફરીવાર ચિંતા વધારી છે અને વધારે કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ તંત્રને કડક થવાના આદેશ આપી દીધા છે. ત્યારે વર્ધામાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે.
શાળા-કૉલેજ પણ બંધ
આદેશ અનુસાર માત્ર મેડિકલ સ્ટોર્સ અને અતિ આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકોને જ કર્ફ્યૂમાં અવરજવરની પરવાનગી આપવામાં આવી છે અને આ સિવાય બધુ જ બંધ રાખવામાં આવશે. આ વખતે સરકારે પેટ્રોલ પંપ પણ બંધ રાખવાના આદેશ આપ્યા છે. વર્ધા જિલ્લાના કલેકટર પ્રેરણા એચ દેશભરે જણાવ્યું છે કે કોરોના વાયરસના વધતાં કેસને જોતાં સ્કૂલ અને કોલેજને પણ આગામી આદેશ સુધી બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં મહામારીએ માથું ઊંચક્યું
નોંધનીય છે કે મહારાષ્ટ્રનાઆ 8 જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવાં મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 5427 નવા કેસ સામે આવ્યા છે. જે નવા વર્ષમાં કોઈ પણ રાજ્ય માટે સૌથી મોટો આંકડો છે. મહામારીને રોકવા માટે સરકારએ ગાઈડલાઇનનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે. આ સિવાય અમરાવતીમાં વીકેન્ડ લોકડાઉન તથા યવતમાલમાં નાઈટ કર્ફ્યૂ કરી દેવામાં આવ્યું છે.
દેશના ઘણા રાજ્યોમાં હારી રહ્યો છે કોરોના વાયરસ
નોંધનીય છે કે 2020ના અંતમાં જ ભારતમાં ધીમે ધીમે કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે બાદ દેશના એક બાદ એક ઘણા બધા રાજ્યોમાંથી સારા સમાચાર આવવા લાગ્યા. દેશમાં ઘણી જગ્યાએ કોરોના વાયરસની સામે હવે પરિસ્થિતિ સારી છે પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસનો વધતો ગ્રાફ ચિંતાજનક છે. સરકારે લોકોને ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો લોકડાઉન જેવા કડક પગલાં લેવામાં આવશે.