મધ્યપ્રદેશમાં માફિયા પર કાર્યવાહીની વચ્ચે બીજેપી કાર્યકર્તાઓને નોટિસ મોકલવા પર ગુસ્સે ભરાયેલા ભાજપ નેતાઓને વિભાગીય કમિશનરના ઘરની બહાર ધરણા કરવા મોંઘા પડી ગયા છે. આ મામલામાં પોલીસ-તંત્રે શનિવારે રાત્રે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ શંકર લાલવાની, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, નગર અધ્યક્ષ ગોપી નેમા સહિત 350 ભાજપ કાર્યકર્તાઓ પર કલમ 188ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બીજેપી (BJP)રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના એક કથિત વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નરેન્દ્ર સિંહ રઘુવંશીએ રવિવારે બતાવ્યું કે, શુક્રવારે બપોરે રેસીડેન્સી ક્ષેત્રમાં મંજૂરી વિના ધરણા-પ્રદર્શનને લઇને એક તહસીલદારની ફરિયાદ પર લગભગ 350 પ્રદર્શનકારીઓની વિરુદ્ધ શનિવારે મોડી રાત્રે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી. તેમા વિજયવર્ગીય, ઇંદોર લોકસભા ક્ષેત્રના સાંસદ શંકર લાલવાની અને ભાજપના અન્ય સ્થાનીય નેતા સામેલ છે. રઘુવંશીએ બતાવ્યું કે, આ પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની કલમ 143, કલમ 149, કલમ 153, કલમ 188 અને કલમ 506 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે, વિજયવર્ગીયની આગેવાનીમાં બે દિવસ પહેલા કરવામાં આવેલા ધરણા-પ્રદર્શનને લઇને આ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપના 63 વર્ષીય મહાસચિવે આરોપ લગાવ્યો હતો કે, સત્તારૂઢ કોંગ્રેસના ઇશારે સ્થાનીય તંત્ર ભાજપ કાર્યકર્તાઓની વિરુદ્ધ રાજકીય દુર્ભાવનાથી પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરી રહ્યું છે. આ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર પહેલા જ વાયરલ થઇ ચૂક્યો છે. વિજયવર્ગીય આ વીડિયોમાં કહેતા સંભળાય છે કે, ''શું કોઇ પ્રોટોકોલ હોય છે કે નહીં, અમે સરકારી અધિકારીઓને લેખિતમાં નિવેદન આપી રહ્યા છીએ કે અમે તમને મળવા માંગીએ છીએ. શું તેઓ અમને આ સૂચના પણ નહીં આપે કે તેઓ શહેરથી બહાર છે? આ અમે હવે બિલકુલ સહન નહીં કરીએ. અમારા સંઘના પદાધિકારી (અહીં) છે, નહીં તો આજે આગ લગાવી દેતો ઇંદોરમાં...'' (ઇનપુટ : ભાષાથી)
બીજેપી મહાસચિવનું આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આંતરિક બેઠકો માટે સંગઠનના પ્રમુખ મોહન ભાગવત અને તેના અન્ય ટોચના પદાધિકારી ઇન્દોરમાં જ હતા.