રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં જોવા મળ્યો પલટો, અમરેલીમાં માછીમારી દરમિયાન વીજળી પડતા શ્રમિકનું મોત
અમરેલીના પીપાવાવ પાસે વીજળી પડતા શ્રમિકનું મૃત્યુ
પાણીની ખાડીમાં વીજળી પડતા 35 વર્ષીય શ્રમિકનું મૃત્યુ
માછીમારી કરતો હતો તે સમયે વીજળી પડી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિણામે ગઇ કાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ તો કેટલાક જિલ્લામાં ઝરમર વરસાદ નોઁધાયો હતો. ત્યારે ભરઉનાળે વરસાદી માહોલમાં અમરેલીના પીપાવાવ પાસે વીજળી પડતા શ્રમિકનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે.
વીજળી પડતાં યુવકનું ઘટના સ્થળે મોત
હવામાન વિભાગની અગાહીને લઇને અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાજુલા- પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ નજીક પાણીની ખાડી આવેલી છે. અહીં માછીમારી કરી રહેલા 35 વર્ષીય શ્રમિક ભરતભાઇ સોલંકી પર વીજળી પડી. શ્રમિક પર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
મૃતક સાવરકુંડલાનો રહેવાસી
ઘટનાને પગલે માછીમારી કરનાર સાથીઓ અને પરિવારમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી. મૃતક સાવરકુંડલાનો રહેવાસી હતો. હાલમાં તેના મૃતદેહને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં લઇ જવાતા સગા સબંધીઓ અને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં ગઇ કાલ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા. દરિયાઇ વિસ્તારમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા પણ નોંધાયા હતા.