પીપાવાવ નજીક ખાડીમાં માછીમારી કરતા સમયે વીજળી પડતા ઘટનાસ્થળે જ માછીમારનું મોત નીપજ્યું હતું.
વીજળી પડતા શ્રમિકનું મૃત્યુ
રાજુલા-પીપાવાવ દરિયાકાંઠે બની ઘટના
35 વર્ષીય શ્રમિકનું મૃત્યુ
જગતના તાત માટે વરસાદ આશીર્વાદરૂપ હોય છે. વરસાદના આગમનની સાથે ખેડૂતોમાં હરખની હેલી હોય છે. પરંતુ હાલમાં ગુજરાત પ્રવાસની તૈયારી કરતા આ વણબોલાવ્યા મહેમાન મેઘરાજાના આગમનથી જગતના તાતમાં હરખની હેલીની જગ્યાએ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં આજે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમ જ સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી
પાણીની ખાડીમાં વીજળી પડતા 35 વર્ષીય શ્રમિકનું મૃત્યુ
આગાહી મુજબ આજે ગુજરાતના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. પવનના સુસાવટા વચ્ચે દરિયાઈ કાંઠે વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. ત્યારે અમરેલીના રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર લોજિક પાર્ક નજીક આવેલા ખાડી વિસ્તારમાં માછીમારી કરી રહેલા 35 વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં ઘટના સ્થળે જ તે ભડથું થઈ ગયા હતા. મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજુલા પીપાવાવ દરિયાઈ કાંઠે ભર ઉનાળે વીજળી પડવાની ઘટના બનતા શ્રમિકો પણ ડર્યા હતા. આગાહી હોવા છતાંય ધ્યાન ન આપતા આ માછીમાર ભરતભાઇને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય
ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતો અને ખાસ કરીને કેરીના પાક પર આ હવામાનની મોટી અસર થઈ રહી છે ત્યારે આજે ગીર-સોમનાથના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા કેસર કેરી પક્વતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા હતા. તો બીજી તરફ બોટાદ જિલ્લામાં બે દિવસથી હવામાન બદલાયું છે. બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડામાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ગઢડા, ઢસામાં હળવા વરસાદી ઝાપટા પડતાં લોકોને અતિશય ગરમીમાં રાહત પણ મળી હતી.
રાજપીપળા અને પંચમહાલના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ
દક્ષિણ ગુજરાતની વાત કરી તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાનમાં ફેરફારને લીધે સુરતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સુરતનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી પહોંચ્યું છે જે 2 દિવસ પહેલા 40 ડિગ્રીને પાર હતું. નર્મદા જિલ્લાના રાજપીપળામાં વહેલી સવારે છાંટા પડયા હતા. કેરી અને અન્ય પાક બગડી જવાની ભીતિ સેવાતા અહીંના ખેડૂતો ચિંતિત બન્યા હતા.દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સંજેલી વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડતો હતો.પંચમહાલ જિલ્લામાં વીજળીના કડાકા સાથે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કાલોલના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.ખેડા અને વલસાડના કેટલાક વિસ્તારમાં વરસાદી વાતાવારણ સર્જાયુ હતું.
શું છે હવામાન વિભાગની આગાહી?
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે થન્ડર સ્ટોર્મ સાથે બે દિવસ ( 20 અને 21 એપ્રિલ)ની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ આગાહી મુજબ જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, કચ્છમાં વરસાદ પડી શકે છે. તો આ સાથે જ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણામાં પણ અસર વર્તાશે. વરસાદની સાથે-સાથે 20થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.