કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે
કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટને લઈ પ્રદેશ નેતાઓ સામે અનેક સવાલો
દિલ્હી હાઇકમાન્ડ દ્વારા નામ નક્કી કરાયા અને પ્રદેશના નેતાઓએ બદલી નાખ્યા
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતમાં કોંગ્રેસની સતત હારની વચ્ચે એક મોતઆ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસની શરમજનક હર અને ગણતરીની બેઠકો પર જીત બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ ઊભો થયો હતો. આ દરમિયાન હવે કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)ના એક રિપોર્ટને લઈ હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકો વેચી ખાધી
ગત વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ગુજરાતમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)ના રિપોર્ટમાં ઉલ્લેખ થતાં હડકંપ મચી ગયો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 8, 2023
દિલ્હી હાઇકમાન્ડ દ્વારા નામ નક્કી કરાયા અને પ્રદેશના નેતાઓએ બદલી નાખ્યા
વિધાનસભાની ચૂંટણી 2022માં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈ કમાન્ડને પાણ ઓવરટેક કરી ગયાનું ખૂલ્યું છે. કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)ના રિપોર્ટ આર્થિક વ્યવહાર કરીને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો અને ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું
વિધાનસભાની ચૂંટણી 2022માં ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા હડકંપ મચ્યો છે. આ સાથે ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
ફેકટ ફાઈન્ડિંગ કમિટીની પ્રભારી અને પ્રદેશ પ્રમુખ બદલવા ભલામણ
આ તરફ હવે કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)એ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ બદલવાની ભલામણ કરી છે. જેને લઈ હવે રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થશે. ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે. જેને લઈ ગમોડી સાંજે કોંગ્રેસના સિનિયર નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે સાથે બેઠક કરશે.
કયા-કયા નેતાઓને હાઇકમાન્ડનું તેડું ?
જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ પહોંચ્યા છે. મહત્વનું છે કે, દિલ્લી વિધાનસભા ચૂંટણી બાદ પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ હતુ. પ્રભારીની નિયુક્તિ બાદ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનાત્મક બદલાવ થશે.