આદિવાસીઓ માટે આરક્ષિત 14 બેઠકોમાંથી ભાજપની પાસે સાત ડાંગ, કપરાડા, ઉમરગામ, ધરમપુર, માંડવી, મહુવા અને માંગરોળ બેઠકો છે. આ વખતે દક્ષિણ ગુજરાતની આ બેઠકો પર ભાજપનો રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપ માટે કપરો રસ્તો
AAP-આદિવાસીઓ બગાડી શકે છે ગણિત
સરકારી પ્રોજેક્ટ્સની સામે સ્થાનિકોનો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની 35 સીટો ભાજપના સત્તા પ્રાપ્તિના લક્ષ્યમાં મોટો અવરોધ બની શકે છે. અહીં આમ આદમી પાર્ટી અને આદિવાસી ભાજપનું ગણિત બગાડી શકે છે. આ એ જ વિસ્તારો છે જ્યાં સરકારી પ્રોજેક્ટ્સની સામે સ્થાનિક આદિવાસીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
1 ડિસેમ્બરે થશે મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થવાનું છે. આ 89 બેઠકોમાં દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે. આ એ જ બેઠકો છે જ્યાં આદિવાસીઓની વસ્તી વધારે છે.
ગત વખતે ભાજપે જીતી હતી 25 બેઠકો
ભાજપે 2017માં આ 35માંથી 25 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ ક્રમશઃ આઠ અને બે બેઠકો જીતી હતી, પરંતુ આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 14 બેઠકોમાંથી ભાજપ માત્ર પાંચ બેઠક પર જ જીત નોંધાવી શકી હતી. ત્યાર બાદની પેટાચૂંટણીમાં તેણે કોંગ્રેસ પાસેથી વધુ બે બેઠકો ડાંગ અને કપરાડા છીનવી લીધી હતી. આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને હજુ પણ ભાજપની નબળી કડી માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં શહેરી મતદારો 2017માં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. 2015માં સુરત હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર ક્વોટા આંદોલનનું કેન્દ્ર હતું અને ત્યાં વ્યાપક હિંસા થઈ હતી.
સુરતમાં જીત્યુ હતું ભાજપ
સુરતમાં કાપડના વેપારીઓ પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદવાના વિરોધમાં હતા, પરંતુ આ બધું હોવા છતાં ભાજપે સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો કબજે કરી હતી, જેમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી વરાછા, કામરેજ અને કતારગામ બેઠકોનો સમાવેશ થાય છે. તે (ભાજપ) માત્ર આદિવાસી પ્રભુત્વ ધરાવતી માંડવી (અનુસૂચિત જનજાતિ) બેઠક જીતી શક્યું નથી. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચાર અભિયાન અને ગયા વર્ષે સુરત મનપાની ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે આ વખતે ફરીથી સ્પર્ધા રસપ્રદ બની છે. AAPએ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતી હતી, જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી.
AAPએ રમ્યો દાવ
કોંગ્રેસે વરાછા બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ એક સમયે હાર્દિક પટેલના નજીક હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના અન્ય એક નેતા ધાર્મિક માલવિયા ઓલપાડથી AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. AAPના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે.
અડધી સીટો ભાજપની પાસે
આદિવાસીઓ માટે આરક્ષિત 14 સીટોમાંથી ભાજપની પાસે 7 ડાંગ, કપરાડા, ઉમરગામ, ધરમપુર, માંડવી, મહુવા અને માંગરોળ બેઠકો છે. કોંગ્રેસનો યુવા આદિવાસી ચહેરો ધારાસભ્ય અનંત પટેલ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે નવસારી અને વલસાડ જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ છે કોંગ્રેસનો દાવો
કોંગ્રેસે દાવો કર્યો છે કે આદિવાસી મતદારો ક્યારેય ભાજપ પર વિશ્વાસ નહીં કરે. દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે, "મને ખાતરી છે કે કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં બેઠકો જીતશે કારણ કે સ્થાનિક લોકોએ હંમેશા અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે." ભાજપ ચોક્કસપણે હારી રહ્યું છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં બે રેલીઓ યોજી હતી. તો બીજી બીજુ ભાજપના મુકેશ પટેલે દાવો કર્યો હતો કે, 'આદિવાસી લોકોમાં તેમની પાર્ટી સામે કોઈ રોષ નથી.'
ઓલપાડના સીટીંગ ધારાસભ્ય અને મંત્રી પટેલે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે ભાજપ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની તમામ 28 બેઠકો જીતશે. આદિવાસીઓમાં કોઈ રોષ નથી, પરંતુ સ્થાનિક લોકો જાણે છે કે ભાજપ સરકારે તેમની માંગ પર PESA (પંચાયતોમાં વિસ્તરણ) એક્ટ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.