ગુજરાતમાં સતત વધતાં કોરોના વાયરસના કહેર વચ્ચે સુરતમાં રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ આવતા ટેન્શનમાં વધારો થયો છે.
સુરતમાં એક દિવસમાં 34 રિક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
સુરત કમિશનરે આપી જાણકારી
ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
સુરતમાં કોરોનાનો વધતો કહેર
ગુજરાતના સુરત જિલ્લામાં એક જ દિવસમાં 34 ઓટોરિક્ષા ચાલકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. નોંધનીય છે કે કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સુપરસ્પ્રેડરની ઓળખ થઈ શકે તે માટે રિક્ષાચાલકો, શાકભાજી વેપારીઓ જેવા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે તે બાદ તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે.
હવે રિક્ષામાં પણ કોરોનાની દહેશત
સુરતના મ્યુનિસિપલ કમિશનરે પત્રકારોને આપેલી જાણકારી અનુસાર સોમવારે ઓછામાં ઓછા 34 ઓટોરિક્ષાચાલકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. લોકોને રિક્ષામાં સફર દરમિયાન માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સંક્રમણની ચેન તોડવા માટે સુરતમાં મોટા બજારોમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.
બસો બંધ હોવાથી રિક્ષામાં વધ્યો ધસારો
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને જોતાં જાહેર બસોને બંધ કરી દેવામાં આવી છે ત્યારે રિક્ષામાં લોકોનો ધસારો વધ્યો છે. એવામાં સુરતમાં એક સાથે આટલા બધા રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ આવતા ટેન્શનમાં વધારો થયો છે.
24 કલાકમાં 40 હજારથી વધુ કેસ
કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના સમાચાર વચ્ચે 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. સામાન્ય ઘટાડા સાથે ગઇકાલની સરખામણીએ 13 ટકા ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,715 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,686,796 થઇ ગઇ છે.
દેશમાં હાલ કેટલા એક્ટિવ કેસ?
ચિંતાની વાત એ છે કે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જ્યાં ગત મહિના આ 2 લાખની નીચે આવી ગયા હતા. હવે વધીને 3 લાખ 45 હજાર 477 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 10,731નો વધારો થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓના થયા મોત?
આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 199 દર્દીઓના મોત થયા છે, જેને લઇને કુલ મૃતકોની સંખ્યા 1,60,166 થઇ ગઇ છે. ત્યારે, મૃત્યુદર 2 ટકાની નીચે આવી ગયો છે, આ 1.37 ટકા થઇ ગયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ થયા સાજા?
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં 29,785 દર્દીએ કોરોનાને માત આપી છે, અત્યાર સુધીમાં 11,181,253 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોવિડ-19ના સંક્રમણથી સાજા થવાનો દર 95.67 ટકા છે.
કયા રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે કેસ?
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.