દિલ્હીની પ્રતિષ્ઠિત એમ્સ હોસ્ટિપલમાં 35 ડોક્ટરો તથા સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટરોને કોરોના થતા ચિંતા વધી છે.
એમ્સના 35 ડોક્ટરો કોરોના પોઝિટીવ
સર ગંગારામના 37 ડોક્ટરો કોરોના પોઝિટીવ
31 માર્ચ સુધી રસીની આડઅસરને કારણે 180 લોકોના મોત
એમ્સના કેટલાક સ્ટાફ મેમ્બરોએ રસી લીધી નથી. એમ્સ દિલ્હીની બીજી સૌથી મોટી હોસ્પિટલ છે. આટલી મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોના પોઝિટીવ થતા ચિંતા વધવી સ્વાભાવિક છે. ગુરુવારે સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટરો પણ કોરોના પોઝિટિવ નીકળ્યાં હતા. સર ગંગારામ હોસ્પિટલના જે પણ ડોક્ટરોનો ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે તેમાંના મોટાભાગના યુવાન ડોક્ટરો છે અને તેમણે રસીના બે ડોઝ પણ લીધા હતા.
રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના પોઝિટીવ
એમ્સ અને સર ગંગારામ હોસ્પિટલના આ બધા ડોક્ટરોએ રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના પોઝિટીવ નીકળતાં રસીની અસરકારકતા પર સવાલ ખડા થયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડો.ડીએસ રાણાને મળવા બોલાવ્યાં છે.
31 માર્ચ સુધી કોરોનાની રસી લીધા 180 લોકોના મોત
એક અત્યંત ચોંકાવનારા ઘટનાક્રમમાં 31 માર્ચ સુધી કોરોનાની રસી લીધા 180 લોકોના મોત થયા છે અને 75 ટકા મોત તો રસી લીધાના 3 દિવસની અંદર થયા છે.16 જાન્યુઆરીએ દેશમાં રસીકરણનો પ્રારંભ થયો હતો. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર 27 જાન્યુઆરી સુધીમાં 9 લોકોના મોત થયા હતા જેમણે રસી લીધી હતી. ફેબ્રુઆરી 26 સુધી 46, 16 માર્ચ સુધીમાં 89 લોકોના મોત થયા હતા. 16 માર્ચ અને 29 માર્ચની વચ્ચે 91 લોકોના મોત થયા હતા.
વેક્સિન મુદ્દે રાજ્યોની ફરિયાદ
નોંધનીય છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ગઇકાલે જ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અમે સૌથી વધારે પરેશાન છીએ અને કેન્દ્ર સરકાર વેક્સિન મામલે ગુજરાત પર મહેરબાન છે. જોકે આ મુદ્દે ભારતના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જવાબ પણ આપ્યો છે. ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.