ગાંધીનગરઃ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જેલમાં બંધ કેદીઓ ચેઇન સ્નેચિંગ અને મોબ લિંચિગ જેવા મુદ્દાઓ પર જાહેરાત અને ચર્ચા કરી હતી. પ્રદીપસિંહ જાહેરાત કરતા કહ્યું કે 15મી ઓગષ્ટના રોજ 300 કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
આ કેદીઓની સજા દરમિયાન કોઇ ફરિયાદ ન મળી હતી જેથી તેમને મુક્ત કરાશે. ફર્લો જમ્પ ન કરી તેવા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 75 ટકા સજા પુરી કરનાર કેદીઓને પણ જેલ મુક્ત કરવામાં આવશે.
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ
તેમણે જણાવ્યું કે ચેઇન સ્નેચિંગના ગુના અટકાવવા સરકારનો પ્રયાસ કરી રહી છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં સજામાં વધારો થશે. ચેઇન સ્નેચિંગના ગુનામાં સજાની જોગવાઇમાં ફેરફાર કરાયા છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડશે. હાલમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં 3 વર્ષની સજાની જોગવાઇ છે.
મોબ લિંચિગની ઘટનાઓ મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન
પ્રદીપસિંહે કહ્યું કે ગુજરાતમાં કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા પણ સુચનો આપવામાં આવ્યા છે. ચીલઝડપના પ્રયાસમાં ઓછામાં ઓછા 5 વર્ષની સજા કરવામાં આવશે. અને વધુમાં વધુ 10 વર્ષની સજા થશે. સાથે ચીલઝડપના કેસમાં રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવશે.