બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના શંકરભાઈ જે નાળિયેરમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. તેમની અદભૂત નાળિયેર કળાને લીધે તેઑ રાજ્યભરમાં જાણીતા બન્યા છે.
બનાસકાંઠાના શંકરભાઈની અદભૂત નાળિયેર કળા
સમર્પણ ભાવથી કળાને મળ્યો વિસ્તાર
300થી વધારે બનાવ્યા કલાત્મક નમૂના
કહેવાય છે કે કળા કોઈ ડિગ્રી કે અભ્યાસનો મોહતાજ નથી હોતી. એ તો આંતરસૂઝ અને રસથી પાંગરતી હોય છે, કળા ક્યારેક કોઈને ઊંચું સ્થાન અપાવી દેતી હોય છે, આવા જ એક વ્યક્તિની વાત છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના શંકરભાઈ પોતાની કળા માટે સમગ્ર રાજ્યમાં જાણીતા બન્યા છે. શંકરભાઈ પહેલા કલર કામ કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. ત્યારબાદ તેમને હાથમાં એક નાળિયેર આવ્યું અને નાળિયેરની કાચલીમાંથી તેમને કંઈક બનાવવાની પ્રેરણા જાગી.ત્યારબાદ તેમણે મનોમન નાળિયેરની કળામાં ઊંડાં ઉતરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ શંકરભાઈએ મંદિરોમાં વેસ્ટ નાળિયેર હોય તેને એકત્રીત કરવાનું શરૂ કર્યું અને તેમાંથી તેઓ જુદા જુદા પ્રકારની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા લાગ્યા હતા.
કલાત્મક વસ્તુઓ વેચી ગુજરાન ચલાવતા શંકરભાઈ
શંકરભાઈએ ગૃહ સુશોભનમાં વપરાતી જુદી જુદી વસ્તુઓ અને ઓફિસ સુશોભન માટે રાખવામાં આવતી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. નાના પાયા પર કરેલી શરૂઆત આજે તેમની લગનથી ખૂબ આગળ વધી ગઈ છે. લગન અને સમર્પણથી તેઓ પોતાની કલાને આજે ખૂબ જ આગળ લઈ ગયા છે. જ્યારે પણ સરકાર દ્વારા કલા પ્રદર્શન મેળાઓમાં યોજવામાં આવે છે ત્યારે શંકરભાઈ તેમાં પોતાનો સ્ટોલ ઊભો કરે છે અને તેમાં કલાત્મક વસ્તુઓ વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
100 રૂપિયાથી માંડી 1000 રૂપિયા સુધીની વસ્તુનું વેચાણ
શંકરભાઈ નાળિયેરમાંથી અલગ અલગ પ્રકારની ચીજો બનાવવા લાગ્યા તેમને અત્યાર સુધી 300 થી વધુ જુદી જુદી ડિઝાઇનોની કલાત્મક ચીજવસ્તુઓ બનાવી છે. તેમની આ કલાની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે. શંકરભાઈ પાસે કલાત્મક વસ્તુઓ બનાવવા કોઈ મશીનરી નથી કે કોઈ મોટા સાધનો નથી, પરંતુ તેઓ જાતે જ નાના સાધનોથી પોતાના હાથથી નાળિયેરની કાચલીને ઘસીને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નાળિયેરમાંથી બનાવેલી મનમોહક વેરાઈટીઓ જોઈ દૂર દૂરથી લોકો તેમને લગાવેલા સ્ટોર પર અને ઘરે આવે છે. શંકરભાઈનું કહેવું છે કે તેઓ સો રૂપિયા થી લઈને 1000 રૂપિયા સુધીની જુદી જુદી વસ્તુઓ બનાવી રહ્યા છે ત્યારે નાના ચાના કપ કે કિચન હોય તેમના સો રૂપિયા અને કોઈ મોટી વસ્તુઓ હોય તો તે વસ્તુ 1000 રૂપિયા સુધીનું વેચાણ થાય છે.