ફરી એકવાર નીતીશ કુમાર આવતી કાલે બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAના ધારાસભ્યોની બેઠકમાં નીતીશને નેતા ચૂંટવામાં આવ્યા છે અને રાજનાથ સિંહે જ તેમના નામની જાહેરાત કરી.
આવતીકાલે ફરીથી બિહારના સીએમ બનશે નીતીશ કુમાર
ભાજપ અને જનતા દળના નેતાઓએ ફરીથી નીતીશને જ પહેરાવ્યો તાજ
શપથગ્રહણમાં તૂટશે 30 વર્ષ જૂની પરંપરા
30 વર્ષથી ફૂલ ટર્મની જેટલી સરકારનું ગઠન થયું તેમાં શપથ ગાંધી મેદાનમાં જ લેવાયા
નીતીશ કુમારે રાજભવનમાં 126 MLAનો સમર્થન પત્ર સોંપ્યો છે અને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સોમવારે સાંજે સાડા ચાર વાગે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે જ્યાં નીતીશ કુમાર સાતમી વાર બિહારના નાથ બનશે. જોકે હવે આ સમારોહમાં 30 વર્ષ જૂની પરંપરા તૂટી જશે.
બિહારમાં છેલ્લા 30 વર્ષમાં ફૂલ ટર્મની જે સરકાર બને તેમાં શપથ ગ્રહણ સમારોહ ગાંધી મેદાનમાં જ રાખવામાં આવતો હતો પરંતુ આ વખતે આ સમારોહ રાજભવનમાં થશે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના સંકટના કારણે ગાંધી મેદાનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. જોકે હજુ સુધી તેના પાછળ કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી.
વર્ષ 1990માં લાલૂ યાદવે આ મેદાનમાં શપથગ્રહણ કર્યું હતું જે બાદ ફૂલ ટર્મની જે સરકારનું ગઠન થયું તે બધી સરકારોમાં શપથગ્રહણ સમારોહ ગાંધી મેદાનમાં જ રાખવામાં આવ્યો હતો. 1990, 1995, 2000, 2005, 2010 અને 2015માં આ જ મેદાનમાં સમારોહ રાખવામાં આવ્યો હતો.