અમદાવાદમાં ચોમાસું આવે એટલે દર વર્ષે રસ્તા પર ભૂવા પડવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં હજુ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત
જૂના વાડજમાં 30થી 40 વર્ષ જૂનું મંદિર ભૂવામાં ગરકાવ
દર વર્ષે ભૂવા પાછળ AMC ખર્ચ કરે છે 7 કરોડનો ખર્ચ
તંત્રના વાંકે દર વર્ષે લોકોને ચોમાસામાં બહાર નીકળવું ભારે મુશ્કેલ થઇ જતું હોય છે. દર વર્ષે અમદાવાદમાં વરસાદના કારણે મનપાની પ્રિ-મોન્સૂમની કામગીરીની પોલ ખુલ્લી પડી જતી હોય છે. કારણ કે તાજેતરમાં જ શહેરના જૂના વાડજ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. જેના કારણે ઘટનાસ્થળે આવેલ 30થી 40 વર્ષ જૂનું મંદિર ભૂવામાં ગરકાવ થઇ ગયું છે. મંદિર અને બાંકડો બંને ભૂવામાં ગરકાવ થઇ ગયા છે.
અમદાવાદમાં અગાઉ 22થી વધુ સ્થળોએ ભૂવા પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં અનેક જગ્યાએ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં કુલ 22થી વધુ સ્થળોએ ભૂવા પડ્યા હતા. તાજેતરમાં જ અમદાવાદના અમરાઈવાડીમાં મેટ્રો પિલર 119 પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો.
મહત્વનું છે કે, અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. જો તમે અમદાવાદ આવવાનું વિચારી રહ્યા હોય તો ખાડાનગરીમાં તમારું સ્વાગત છે. ખાડાનગરી શબ્દ સાંભળીને વિચારમાં ન પડતા. કેમ કે સ્માર્ટ સિટી અમદાવાદની સ્થિતિ હાલ કંઈક આવી જ છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યા બાદ પણ અમદાવાદવાસીઓને મળ્યા છે માત્ર ખાડા.
અગાઉ ઈસ્કોન મોલ ચાર રસ્તા અને આશ્રમ રોડના વલ્લભસદન નજીક ભૂવો પડ્યો હતો
અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઈસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. જેને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યો હતો. પરંતુ આવા ભૂવાઓને કારણે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ ? બીજી બાજુ આશ્રમ રોડના વલ્લભસદન નજીક પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ભૂવા પાછળ થાય છે 7 કરોડનો ખર્ચ
દર વર્ષે AMC ભૂવા પાછળ 5થી 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. છેલ્લા 8 વર્ષમાં AMCએ 500થી વધુ ભૂવાનું રિપેરિંગ કર્યું. જેની પાછળ 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો. તેમાં પણ સૌથી વધુ ભૂવા પડે છે તો તે છે પશ્ચિમ વિસ્તાર. કેટલાક તો એવા ભૂવા છે જે દર વર્ષે એક જ સ્થળે પડે છે.
'ખરાબ ક્વોલિટીની પાઇપ અને ખોદકામથી પાઈપને નુકસાન' ભૂવા માટે જવાબદાર
એક મત એવો પણ છે કે અમદાવાદની જમીન નદીની રેતીથી બનેલી છે. એટલે સરળતાથી ધોવાઈ જાય છે. વળી જમીનની અંદર નબળી ક્વોલિટીની પાઈપ અને તેના જોઈન્ટ લીક થવાથી રેતી ધોવાઈ જાય છે. અને એ સ્થળે ગાબડા પડે છે. ખરાબ ક્વોલિટીની પાઈપ, ખરાબ જોઈન્ટ, મેનહોલના ચણતરમાં ભંગાણ, ખોદકામથી પાઈપને થતું નુકસાન આ ગાબડાઓ માટે જવાબદાર છે. આ તમામ બેદરકારી પાછળ જવાબદાર છે AMCના અધિકારીઓ અને મળતિયાઓ. પણ હવે અમદાવાદ ફરી એકવાર સ્માર્ટસિટી ક્યારે બનશે તે જોવું રહ્યું.