નવસારીમાં વાંસદા ગામમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાની ઘટનાને પગલે તંત્ર દોડતુ થયુ હતુ. અચાનક ગેસ લીક થતાં ટપોટપ ગામવાસીઓ ઓક્સિજન માટે તરફડવા માંડ્યા હતા. જેમાંથી કેટલાકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. ત્યારે એમ થાય કે આવી જાહેર જગ્યાએ તંત્ર કેમ તકેદારી રાખતુ નથી. જો સમયસર સારવાર ન મળી હોત તો આ લીકેજ ગેસ સામૂહિક હત્યાકાંડ સર્જી દેત.
30થી વધુ લોકો ગૂંગળાયા, 30 જણા હોસ્પિટલાઈઝ
5 લોકોને હોસ્પિટલમાં દાખલ રખાયા
3 લોકોને ઓક્સિજનના બાટલા ચઢાવવા પડ્યા
ફરીએક વાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વાંસદામાં ગેસ લિકેજ કારણે સ્થાનિકોને ગૂંગણામણ થઇ હતી. જેથી 30થી વધુ લોકોને ગૂંગળામણની અસર થઇ હતી. આ 30 લોકોને સારવાર માટે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ મામલે ધારાસભ્ય સહિતના લોકો એકઠા થઈ ગયા હતા.
નવસારી જિલ્લાના વાંસદા ગામે લગાવવામાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના પાણીમાં કલોરીનેશન ગેસ ભળતા વાંસદાનાં તળાવ ફળિયાના 30 લોકોને ગૂંગળામણ અનુભવાઈ હતી. સાથે જ કેટલાક લોકોને ઉલટીની ફરિયાદો સાથે જ શ્વાસ લેવામાં પણ વધુ તકલીફ જણાતા તેમને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું.
ફિલટરેશન પ્લાન્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા ઘટી ઘટના
વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એના માટે ગામના તળાવ ફળિયામાં આવેલી ટાંકી સાથે ફિલ્ટરેશન પ્લાન્ટ જોડવામાં આવ્યો છે. જેના દ્વારા લોકોને પીવાનું શુદ્ધ જળ મળી રહે છે. જોકે ફિલ્ટરેશન પ્લાન્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા પીવાના પાણી સાથે ક્લોઇરિનેશન ગેસ ભળતા લોકોને ગૂંગળામણ થવા લાગી હતી.
3 જણને ઓક્સિજન ચડાવવાો પડ્યો
જોત જોતામાં ફળિયાના 30 લોકોને સમસ્યા જણાતા તેમને તાત્કાલિક વાંસદા ગ્રામ પંચાયતના ઉપર આવેલા ટાઉન હોલમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરાઈ હતી. જ્યારે કેટલાક લોકોને ઉલટીની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતા 5 લોકોને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 3 લોકોને થોડા સમય માટે ઓક્સીજન પણ આપવો પડ્યો હોવાની માહિતી મળી હતી.
આ પહેલા પણ આવી ઘટના ઘટી હતી
ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ફિલ્ટરેશન પ્લાન્ટને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવી ઘટના બીજી વાર બની છે. અગાઉ પણ આ પ્રકારે ગૂંગળામણની ફરિયાદો થઇ હતી, પણ વધુ સમસ્યા ન થતા વાત બહાર આવી ન હતી.
તંત્રના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા
ઘટનાની જાણ થતા જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ વાસંદા મામલતદાર વિશાલ યાદવ અને તેમની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સાથે જ વાંસદાના ભાજપી આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રથમ જે લોકોને પાણીમાં ગેસ ભળવાથી આરોગ્યને લગતી ફરિયાદો હતી, એમને યોગ્ય સારવાર મળે એની તકેદારી રાખવાની સુચનાઓ આપવા સાથે જ ઘટના મુદ્દે તલસ્પર્શી તપાસનાં આદેશ પણ મામલતદારે આપ્યા હતા.