ગુજરાત સરકારે અતિવૃષ્ટિ માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું, જે મુજબ ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ખેડૂતોને કૃષિ સહાયનો મામલો
4 જિલ્લામાં 30 કરોડની સહાય ચૂકવાઈ
1 લાખ 68 હજાર ખેડૂતોએ સહાય અરજી કરી
અતિવૃષ્ટીને કારણે પાક નુકસાની માટે સહાય આપવાનું ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. 4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 1 લાખ 68 હજાર ખેડૂતોએ સહાય અરજી કરી છે ત્યારે રાજ્ય સરકારે ધનતેરસના દિવસે ખેડૂતોના ખાતામાં 7 લાખ રૂપિયા સહાય પેટે નાખી દીધા હતા.જો લાભ પાંચમ એટલે કે આજ સુધી સહાયની ચૂકવાયેલી રકમ વિશે વાત કરીએ તો 4 જિલ્લામાં 14,700 ખેડૂતોને 30 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. આજે દિવસ દરમિયાન ખેડૂતોના ખાતામાં 26 લાખની સહાય ચૂકવાશે. 500 કરોડનું પેકેજમાંથી 4 જિલ્લાના જરૂરિયાત મંદ ખેડૂતોના ખાતામાં રૂપિયા નાખવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન ખાતામાં પૈસા જમા થતાં ખેડૂતને થોડો ઘણો હાશકારો થયો છે.
4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે જાહેર કર્યુ હતુ પેકેજ
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. ત્યારે ધનતેરસના શુભ મુર્હુત પર ખેડૂતોના ખાતામાં મેસેજ આવતા નુકસાનીને કારણે આર્થીક ભીડમાં ચાલતો ખેડૂતને થોડી રાહત મળી છે.
બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ, થોડા દિવસમાં થશે સહાયની જાહેરાત
રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે. આજે 7 જિલ્લાઓની સર્વેની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે.