આ વર્ષે મોડેથી પણ મેઘરાજાએ કચ્છ પર મહેર કરી છે. પરંતુ મોડેથી આવેલા વરસાદના કારણે અત્યાર સુધી પશુધન અને પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યાં હતા. અનેક પશુપાલકોએ મજબુરીવશ પોતાના પશુઓને રખડતાં છોડી મુક્યાં હતાં.
આવા રખડતા પશુઓને કચ્છનાં અંજાર તાલુકાના નાગલપર ગામની ગૌશાળામાં સચવાતા હતા. પરંતુ આખો દુકાળ પૂરો થયો, મેઘમહેર થઇ પછી, પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ દિવસોમાં આ ગૌશાળાની 30 જેટલી ગાયો ઝેરી ચારો ખાવાથી મોતને શરણ થઇ છે. જ્યારે 95 જેટલી ગાયોને સારવાર આપીને બચાવી લેવાઇ છે.
અંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે ચલાવતી માધવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળામાં 300 જેટલી રખડતી ભટકતી ગાયોને આસરો અપાયો છે. દાતાઓ દ્વારા અપાયેલા શાકભાજીનું નિરણ મુખ્યત્વે ભીંડો ગાયોને અપાયા બાદ ગાયો ટપોટપ મૃત્યુ પામવા લાગી હતી. 15થી 20 ગાયોના તો સ્થળ પર જ મૃત્યુ પામી હતી.
ગામના સ્થાનિકોને આ અંગે જાણ થતાં જ લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. 6 જેટલાં તબીબોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 95 ગાયો માટે સારવાર અસરકારક નિવડી હતી પરંતુ 30 જેટલી ગાયોને બચાવી શકાઇ ન હતી.
પશુપાલન ખાતા મુજબ, કદાચ ગાયોને અપાયેલા શાકભાજી જતુંનાશક દવાવાળી હોઇ શકે અને તેની અસરથી ગાયોના મોત થયાં હોવાની સંભાવના છે. આ ચારાનાં સેમ્પલ અમદાવાદ ચકાસણી અર્થે મોકલાશે. જરૂર જણાયે ચારો આપનારા સામે પોલીસ ફરિયાદ પણ થઇ શકવાની શક્યતા નકારી શકાતી નથી. પવિત્ર શ્રાવણ માસમાં ગાયોનાં મોત થવાથી આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.