શનિશ્વરી અમાસ અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે, આ દિવસે દાન-ધર્મનો છે ખાસ મહિમા
30એપ્રિલે છે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ
30 એપ્રિલે શનિશ્વરી અમાસ પણ ખરી
સૂર્ય ગ્રહણની ભારતમાં કોઇ અસર નહી
30 એપ્રિલ 2022નો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. કારણ કે આ દિવસે શનિવાર અને તેમાં પણ અમાસ. એટલે શનિશ્વરી અમાસ છે. તો બીજી તરફ આ દિવસે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થવા જઇ રહ્યું છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી એટલે તેની કોઇ ભારત પર કોઈ અસર નહીં થાય, પરંતુ સૂર્યગ્રહણ પહેલા ગ્રહોની સ્થિતિ વિશે જોઇએ તો ઘણી રાશિના જાતકોને તે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે.
સૂર્ય ગ્રહણ પહેલા શનિ-રાહુનું પરિવર્તન
સૂર્યગ્રહણ પહેલા શનિ અને રાહુ કેતુ જેવા મુખ્ય ગ્રહોમાં પરિવર્તન આવ્યું છે. રાહુએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને ગ્રહણના એક દિવસ પહેલા શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય ગુરુ પહેલેથી જ રાશિ બદલી ચૂક્યા છે. હવે અમાવસ્યાના દિવસે મેષ રાશિમાં થનારું ગ્રહણ પણ ઘણી રીતે અસર કરશે. 30 વર્ષ પછી શનિશ્ચરી અમાવસ્યાના એક દિવસ પહેલા શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં જઈ રહ્યા છે. જે ઘણી રાશિઓ માટે સારું અને ઘણા લોકો માટે ખરાબ રહેશે.
આ રાશિના જાતકોએ સાચવવું
મેષ- આ સમયગાળો તમારા માટે થોડો તણાવપૂર્ણ રહેશે
કર્ક- મન અશાંત રહેવાને કારણે અજાણ્યાથી ડર અનુભવશો
કુંભ- શનિનું કુંભ રાશિમાં આગમન થતા અનેક પ્રભાવ પડશે, સંભાળીને ચાલવુ પડશે, બોલવામાં કાબૂ રાખવો તેમજ નાણાની લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવું
સૂતક લાગશે નહી
એપ્રિલ 2022માં પહેલું સૂર્યગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે અહીં ગ્રહણને લગતી ધાર્મિક માન્યતા રહેશે નહીં, કોઈ સૂતક લાગશે નહીં. 30 એપ્રિલ અને 1 મેની મધ્ય રાતે ગ્રહણ થશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળશે. ભારતના કોઈપણ ક્ષેત્રમાં આ ગ્રહણ જોવા મળશે નહીં.
શનિશ્વરી અમાસે કરો શુભ કાર્યો
શનિવાર, 30 એપ્રિલના રોજ શનિશ્વરી અમાસ છે. આ દિવસે અમાસને લગતા શુભ કામ કરવામાં આવશે. અમાસના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. 30 એપ્રિલની રાતે ભારતીય સમય પ્રમાણે ગ્રહણ રાતે 12.15 કલાકે શરૂ થશે. આ ગ્રહણનો મોક્ષ 1 મેના રોજ સવારે 4.08 કલાકે થશે.
શનિશ્વરી અમાસે શું કરવું ?
30 એપ્રિલના રોજ સ્નાન, દાન અને શ્રાદ્ધની અમાસ રહેશે. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવે છે. માન્યતા છે કે પિતૃઓનો નિવાસ ચંદ્ર ગ્રહ ઉપર હોય છે. આ દિવસે પિતૃઓનું નામ લઈને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.