અમદાવાદમાં સ્કૂલવાનની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને એક સ્કૂલવાન 20થી વધુ બાળકોને ખીચોખીચ બેસાડી લઇ જાય છે ત્યારે વળાંક લેતા કેટલાક બાળકો રોડ પર પડકાય છે.
અમદાવાદમાં બેફામ સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ભારે ઝડપમાં વળાંક લેતા સ્કૂલવાનમાંથી 3 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ સ્કુલવાનમાં 20થી વધુ બાળકો ખીચોખીચ બેસાડ્યા હતા.
જો કે, VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું. સ્કૂલવાન ચાલકની બેદરકારી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે પંચામૃત સ્કૂલ ખાતે RTO અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે, અવાન-નવાર સ્કૂલવાન અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં બાળકોના જીવ જોખમાય છે. અમદાવાદ શહેરની જ જો વાત કરીએ તો રોજના 3.50 લાખથી વધુ બાળકો રિક્ષામાં કે વાનમાં સ્કૂલે જાય છે. શહેરમાં સ્કૂલવર્ધી માટે અંદાજે ૭૦ હજાર સ્કૂલ રિક્ષા અને ૬0 હજાર સ્કૂલવાન દોડે છે. બેફામ સ્કૂલ વાહન ચલાવતા ચાલકોને બાળકોના ભવિષ્યની પણ ચિંતા હોતી નથી. શિક્ષણ બોર્ડે સ્કૂલબસ માટે નિયમો બનાવ્યા છે પણ શાળામાં ચાલતી સ્કૂલબસમાં તેનું પાલન કરવામાં આવતું નથી. સ્કૂલવાન અને બસનું સરકારને દર ૧પ દિવસે ચેકિંગ કરવાનો હાઇકોર્ટનો આદેશ છે પણ જાણે તેને ઘોળીને પી જવાયો છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે, આવા સ્કૂલવાન ચાલકો પર તવાઈ ક્યારે? શું સ્કૂલવાન ચાલકોને કોઈ નિયમો નથી નડતા? RTO અધિકારીઓ શું કરે છે? બાળકોને વાનમાં ખીચોખીચ ભરનારા ચાલકો સામે તવાઈ કેમ નહી? માસૂમોના જીવના જોખમે કોના-કોના ખીસ્સા ભરાય છે? શું તમારું બાળક પણ આવી જ વાનમાં જઈ રહ્યું છે? શું વાલીઓએ પણ ચેતવાની જરૂર નથી? શા માટે વાલીઓ આવા વાનચાલકોનો વિરોધ નથી કરતા?
સુરતમાં 4 દિવસથી 350થી વધુ સ્કૂલવાન કરાઇ જપ્ત
સુરતમાં બે દિવસ અગાઉ ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સ્કૂલવાન અને રિક્ષાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા છેલ્લા 4 દિવસની કામગીરીમાં 350થી વધુ સ્કૂલવાન જપ્ત કરવામાં આવી હતી. સ્કૂલવાન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને વાન ચાલકોએ હવે હડતાળ કરી હતી. આ મામલે વાલીઓ પરેશાન થયા હતા. જો કે નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં બેસાડતા વાહનો સામે કાર્યવાહી કરવા આરટીઓ મક્કમ છે.