પ્રિ મોન્સૂન કામગીરી કરવા માટે સેલવાસના ડોકમારડી વિસ્તારમાં આવેલી ગટરમાં ઉતરેલા 3 સફાઈ કર્મીઓના મોત થયાં છે.
દાદરા નગર હવેલીના સેલવાસમાં 3 સફાઈકર્મીના મોત
તંત્ર દ્વારા લાંબી જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા
પ્રિમોસૂન ગટર સફાઈની કામગીરીમાં 3 સફાઈકર્મીના મોત
મળતી જાણકારી પ્રમાણે, દાદરા નગર હવેલીના સેલવાસમાં 3 સફાઈ કર્મચારીઓ ગટરમાં ઉતર્યા હતા. જો કે, તેઓ ફસાઈ જતાં બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, 6 કલાકના ઓપરેશન છતાં તંત્રને નિષ્ફળતા હાથ લાગી હતી અને ત્રણેય શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ત્રણેય સફાઈ કર્મીઓની લાશ બહાર કાઢવામાં આવી
ઉલ્લેખનીય છે કે, સફાઈ કર્મચારીઓને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા JCBની મદદથી ખાડો ખોદવામાં આવ્યો હતો અને બચાવ ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ગટરમાં ઉતરી હતી. જો કે, આ ટીમના હાથે ત્રણેય સફાઈ કર્મીઓના મૃતદેહ લાગ્યા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગોધરાના રહેવાસી હોવાનું આવ્યું સામે
જણાવી દઇએ કે, ગુંગળાઈને મૃત્યુ પામેલા ત્રણેય મૃતક શ્રમિકો ગોધરા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા સિવરેજની સફાઈ માટે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી હતી. સામાન્ય રીતે સિવરેજની સફાઈ માટે સેફ્ટીના સાધનો જરુરી હોય છે.
સેફ્ટી સાધનો વગર જ કરી રહ્યા હતા કામ
પરંતુ, આ કામદારોને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વિના ગટરની સાફ- સફાઈ માટે ઉતારવામા આવ્યા હતા. ત્રણેય મજૂરોના મૃતદેહ મળ્યા બાદ હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.