પશ્ચિમ નેપાળમાં મુસાફરોથી ભરેલી જીપ ખીણમાં ખાબકતા 3 લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કોહલપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
પશ્ચિમ નેપાળના રોલ્પા જિલ્લામાં ઘટી દુર્ઘટના
મુસાફરોથી ભરેલી જીપ ખીણ ખાબકી
3 લોકોના મોત અને 12 ઈજાગ્રસ્ત
પશ્ચિમ નેપાળમાં બુધવારે મુસાફરોથી ભરેલી એક જીપ પહાડી માર્ગ પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થયા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે.
રોલ્પા જિલ્લામાં ઘટી દુર્ઘટના
ન્યૂઝ એજન્સી અનુસાર, આ દુર્ઘટના પશ્ચિમ નેપાળના રોલ્પા જિલ્લામાં બની હતી. જ્યાં રોલ્પા જિલ્લાના સુલીચૌરથી ગાજુલ તરફ જઈ રહેલી એક જીપ ખીણમાં ખાબકી હતી, જેમાં 15 મુસાફરો સવાર હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જીપ પહાડી રોડથી લગભગ 100 મીટર નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના દુઃખદ અવસાન થયા છે.
12 ઈજાગ્રસ્તો પૈકી 7ની હાલત નાજુક
તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમને કોહલપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં સાતની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 5 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર અંદાજે 45થી 50 લોકોને લઈ જઇ રહેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછાં 25 લોકોના મોત નિપજ્યાં હતા. આ અંગે DGP અશોક કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ધુમાકોટના બિરોખાલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.'