ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો ચાલુ છે ત્યારે રવિવારે દહેગામ-મોડાસા રોડ પર અકસ્માત થતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયાં હતા.
દહેગામ-મોડાસા રોડ પર અકસ્માતમાં 3 ના મોત
પાલૈયા નજીક રેવાબા સ્કુલ પાસે બની ઘટના
કાર પલટી ખાઇને રોડ સાઈડ ઉતરી
બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે, દહેગામ-મોડાસા રોડ પર પાલૈયા નજીક રેવાબા સ્કુલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં પુરપાટ ઝડપે ચાલી જતા કાર પલટી ખાઇને રોડ સાઇડ ઉતરી આવી હતી.
3 લોકોના કમકમાટીભર્યા મોત
આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આ બનાવને લીધે 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવી હતી અને નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં દરરોજના 18 લોકોના મોત
રોડ સેફ્ટીમાં ગુજરાતના આંકડાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં દરરોજના 18 લોકોના મૃત્યુ અકસ્માતમાં થાય છે. આ આંકડો ખરેખર નિરાશાજનક ગણાવી શકાય. છેલ્લા 2 વર્ષમાં વાહન અકસ્માતમાં 13,456 લોકોના મૃત્યુ થયાં છે. તો આ સાથે જ રાજ્યમાં 2 વર્ષમાં 30,377 વાહન અકસ્માતની ઘટના બની છે.
ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં મોત
રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 1351 લોકોના મૃત્યુ થયાં છે. આ આંકડા રાજ્યમાં સૌથી વધુ અને ચિંતાજનક છે, બીજા નંબરે સુરતમાં 1237,તો રાજકોટમાં 655,કચ્છમાં 578 લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતની ઘટનામાં થયાં છે.
કોરોના કરતા માર્ગ અકસ્માતની ઘટનામાં વધુ લોકોના થયાં મોત
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જો કે, વેક્સિનેશન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને સારવાર પણ યોગ્ય રીતે અપાઇ રહી છે. હાલ કોરોનાને કારણે ગુજરાતમાં દરરોજના 2-3 લોકોના મોત થઇ રહ્યા છે. તો માર્ગ અકસ્માતની ઘટનાઓને કારણે ગુજરાતમાં દરરોજના 18 લોકોના મોત થઇ રહ્યા છે.
રોડ સેફ્ટી ઑથૉરિટી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય છે ગુજરાત
રાજ્ય વિધાસભામાં ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટી (GujROSA)એક્ટ, 2018 લાગુ થયાના લગભગ 3 વર્ષ બાદ ડિસેમ્બર, 2020માં એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બરની નિમણૂક સાથે રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરવામાં આવેલ. જણાવી દઇએ કે, કેરળ બાદ ગુજરાત ભારતનુ એવુ બીજુ રાજ્ય છે જેણે એવી સમિતિની રચના કરી છે.
વાહન અકસ્માત સારવાર યોજના કરાઇ છે લાગુ
અકસ્માતમાં થતો મૃત્યુ દર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્તને 50 હજાર સુધીની સહાય મળે છે. ગુજરાત સરકાર દ્વારા અકસ્માતને લઇને ગત વર્ષે મહત્વની યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં 6500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો આમાંના ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. બની શકે એટલો અકસ્માતમાં મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.